Search This Blog

30/11/2011

... એમ કાંઈ કોઈના લગ્નમાં જવાય ?

મારે ત્યાં એક વડીલ એમને ત્યાંના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા. મને પહેલેથી જ મારા પોતાના સિવાયના તમામ લગ્નોમાં જવું હોંશભેર ગમ્યું છે, એટલે ના તો શું પાડવાની ? કૌસમાં જમવાનું ‘સહ કુટુંબ’ છે કે, ‘ફક્ત બે વ્યક્તિ માટે’ છે, તે ચેક કરી લીઘું. મજા પડી ગઈ... ‘સહ કુટુંબ’ હતું !

પણ જરા દયામણું મોઢું કરીને વડીલે મને એક બીજા સંબંધીની કંકોત્રી પણ આપી. ‘‘તમને વાંધો ન હોય તો આમને જરી આ કંકોત્રી પહોંચાડી દેશો ?’’ અફ કૉર્સ, એ સંબંધી એમના ફેમિલીને લઈ મારા ઘેર જમવા આવવાના ના હોય તો મને શું વાંધો હોય ?, એટલે મેં હા તો પાડી, પણ પછી યાદ આવ્યું કે, આ તો બારોબારનું નોંતરું થયું. આવી રીતે ઇન્વિટેશન આપે તો કોણ આવે ? પેલા સંબંધી તો સાવ નજીકમાં રહેતા હતા એટલે મેં સૂચન કર્યું કે, નજીકમાં જ છે તો જરી જાતે જ જતા આવો ને ! 

એ વાતની એમણે જે સ્ષ્ટતા કરી, પછી જીવનભર મારી આંખો ખુલી ગઈ. નૉર્મલી, આપણી જનરેશનવાળાઓ વ્યવહાર- ફહેવારમાં આવું બઘું કાંઈ સમજતા ન હોઈએ. વડીલે મને સમજાવ્યો કે, રૂબરૂ જાઉં તો એ લોકો મૅરેજમાં આવે. આમ બારોબાર મોકલાવી દઈએ, તો કંકોત્રી આપી ગણાય અને એ લોકો આવે ય નહિ ! લગ્ન પ્રસંગે આમંત્રણો તો ઘણાને મોકલવા પડે પણ મોકલ્યા હોય એ બધા જ આવે, એ ઇચ્છનીય નથી હોતું. કાર્ડ જરૂર મોકલવું પડે. આમ બારોબાર મોકલીએ તો એમને ખબર પડી જાય કે, આપણે જવાનું નથી... ફોન પણ આવ્યો નથી ! અનેે આમંત્રણ આમ તો આમ, મોકલાવ્યું છે તો, એટલે એ લોકો ખોટું ય ન લગાડી ન શકે, કે અમને કેમ કીઘું નહિ...! 

માય ગૉડ... કેવા હિસાબ- કિતાબો ચાલતા હોય છે ? આપણે કેવા મામુ બની જઈએ આમાં તો ? કોઈ પંખો ચાલુ કરો ! 

શહેરો તગડા થતા જાય છે એટલે, હવે એકોએકને ઘેર જઈને રૂબરૂ આમંત્રણ આપવાના પોસાય નહિ, પણ ફોન કરી દેવાય ને ? ભલે રૂબરૂ બધાને પહોંચી ન વળાય, પણ કમ સે કમ ફોન કરી દેવામાં ક્યાં વાંધો આવે ? 

એમણે વિશેષ ટીપ્પણી આપતા મને સમજાવ્યો, ‘ફોન કરો, એ રૂબરૂ ગયા બરોબર જ થયું. ઘણા સંબંધીઓ માત્ર ઓળખાણ પૂરતા હોય. એ લોકો આપણા પ્રસંગે આવે કે ન આવે, એથી આપણને કોઈ ફેર પડતો નથી. બારોબાર કંકોત્રી મોકલાઈ દઈએ, એટલે એમને ય ખોટું ન લાગે કે, અમને કીઘું તો છે, ને સાથે સાથે એ લોકો સમજીને આપણા પ્રસંગે આવે પણ નહિ ! માટે આમંત્રણો બારોબાર મોકલાવી દેવાથી પ્રસંગમાં ખોટી ભીડ અને ખોટા ખર્ચા ન થાય, છતાં વ્યવહાર સચવાઈ રહે.’ 

હેડકીને બદલે મને હવે ખાટા ઘચરકા ચાલુ થયા. સાલું, મને તો આવી કોઈ ખબર નહિ. આપણને તો એમ કે, આમંત્રણ આવ્યું છે, એટલે ન જઈએ તો ખોટું લાગે. હું તો બહુ બધામાં આવા બારોબાર આમંત્રણોને માન આપીને જઈ આવતો- ફેમિલી અથવા હકીને લઈને... જેવું આમંત્રણ ! 

પછી તો થોડો તાળો મળ્યો કે, સાલી વાત તો સાચી છે. આવા જે કોઈ મૅરેજોમાં અમે ગયા છીએ, ત્યાં અમને જોઈને કોઈએ ખાસ ઉમળકો બતાવ્યો નહતો. ક્યારેક તો એ લોકો અમને જોઈને ડઘાઈ ગયેલા પણ જોવા મળ્યા હતા. ‘‘આ લ્લે લે... આમને તો બારોબાર આમંત્રણ મોકલેલું... તો ય આઇ ગયા ?’’ 

કરૂણતા એ હોય છે કે, દરેક સીઝનમાં આપણે રોજ સરેરાશ બબ્બે- ત્રણ ત્રણ રીસેપ્શનોમાં કે સંગીત- સંઘ્યાઓમાં જવાનું હોય છે. કાં તો દરેકમાં અડધી- અડધી કલાક ‘શોભામાં અભિવૃદ્ધિ’ કરી આઇને બીજે ને ત્રીજે ધાબડી આવવાનું હોય, એમાં જમવાનું તો એ ત્રણમાંથી જે પોતાનું હોય ત્યાં જ પતાવીએ ને ? ઇન ફૅક્ટ, એક દિવસ બબ્બે- તત્તણ તો જાવા દિયો... અમદાવાદની જ્યોગ્રોફી જોયા પછી એક પાર્ટી-પ્લોટમાં પહોંચતા ય તૂટી જવાય છે. દૂર કેટલું ને એમાં ય શરીરે ફોડલા પડ્યા હોય, એવો ટ્રાફિક જામ. ગાડીનું પેટ્રોલ બળે કે ત્યાં જઈને મસ્સમોટો ચાંદલો કરવાનો હોય એટલે એમને એમ તો આપણે ય કાંઈ જમી આવતા નથી હોતા... એમને માટે ખાસ સમય ફાળવ્યો, એ ય મોટી વાત નહિ ? 

યસ. લગ્ન નહોતા કર્યા, એ દિવસોમાં અમે ૭- ૮ દોસ્તો કપડાં સારા સિવડાવતા... એટલા માટે નહિ કે, સારી સારી છોકરીઓ પટાવી શકય, (અમારા ખાડિયાની છોકરીઓ તો અક્કલવાળી હતી !) પણ એટલા માટે કે, સિઝનમાં કોઈ પણ રીસેપ્શનમાં ધુસી જઈએ- ઓળખાણ તો શેની હોય, પણ ત્યાં કોણ પૂછવાનું છે કે, ‘ભ’ઇ કોણ છો ?’ બન્ને પક્ષના લોકો એવું સમજે કે, સામેવાળા પક્ષના કોઈ સગા લાગે છે. પ્લસ, શાનદાર કપડાં અને જમવા બમવાની અમારી સ્ટાઇલ પણ એવી કે, બે- ચાર તો માંગા ય આવી જાય. બે ત્રણ મમ્મીઓએ અમારા પરવિણભ’ઇને પૂછ્‌યું ય હતું કે, ‘‘તમે મચકણીયા વાણીયા કે ખડાયતા ? તમારા મમ્મી આટલામાં છે ?’’ પરવિણ ચડ્ડી બિચારો કહી કેવી રીતે શકે કે, એની મમ્મી અત્યારે આવા જ બીજા કોઈના રીસેપ્શનમાં જમતી હશે ? જેન્તી જોખમને આવો સવાલ કદી ઊભો થયો નથી કારણ કે, એ અમારા ગ્રુપના નાના પળશીકર જેવો... કાયમ બુઢ્ઢો જ લાગે ! તમે જેટલા જેન્તીભ’ઇઓને ઓળખતા હો, એ બધાને યાદ કરી જુઓ... નામ જેન્તી હોય એટલે એક વાત તો નક્કી જ કે, જન્મ્યો ત્યારથી બુઢ્ઢો જ લાગે ! 

તો એવડા એ જેન્તીને કોકે મારા વિશે પૂછ્‌યું, ‘‘આ બાબો તમારો છે ?... આઇ મીન, સન ? એમનું ક્યાંય નક્કી થયેલું છે ?’’ સવાલ સાંભળીને જેન્તીને આમ તો લાઇફનું છેલ્લું ડચકું આવી જાત, પણ એ મહિલાએ જેન્તીને મને બતાડીને સલાહ આપી કે, ‘‘તમારા બાબાને જરા જમતા શીખવાડો... જમે છે ઓછું ને મોમાંથી ઉડાડે છે બહુ !’’ 

કૉલેજ દરમ્યાન કૃષ્ણ સિનેમા સામેની એક રેસ્ટરામાં અમે ૫- ૭ જણા નાસ્તા ધીબેડવા જઈએ, વેઇટર પાસેથી બિલ પણ પૂરું લઈ લઈએ... થોડીવાર બેઠા પછી ફક્ત એક ચા મંગાવીએ ને એનું જે બિલ આવે, તે ગલ્લે ચૂકવી દેવાનું ! મોટું બિલ તો ક્યારનું ય ફાડી નાખ્યું હોય ! આજે એ વાતનો અફસોસ થાય છે કે, એ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોત તો એ... ય મજાના દિલ્હીની તિહાર જેલમાં જલસા કરતા હોત ને છાપાઓમાં કેવા મનોહર- મનોહર ફોટાઓ આવ્યા હોત ! જેલમાં જતો ફોટો, પોલીસવાનમાંથી ઉતરતો ફોટો, જેલમાં ‘યોગ’ કરતો ફોટો... પણ તમામ ફોટાઓમાં અમે કોઈ મહાન કામ કરી બતાવ્યું હોય, એમ હસતા હસતા ને લોકો સામે હાથ હલાવતા ફોટા પડાવવાના ! અહીં કોઈ અછોડા ચોરીને ભાગતો ગુંડો પકડાય તો પ્રેસ- ફોટોગ્રાફરોથી મોઢું છુપાવવા રૂમાલ ઢાંકે... જ્યારે તિહાર જેલમાં બેઠેલાઓ સામેથી હસતા હસતા પસાર થાય...! બેશરમ કહીં કે...! કોઈ પંખો ચાલુ કરો !!!

સિક્સર 
– પ્રામાણિકતાથી જવાબ આપજો. પેલા દેશભક્ત સરદારજીને બદલે શરદ પવારને થપ્પડ તમારે મારવાની આવી હોત, તો કેટલી મારત? 
– ..... ફક્ત થપ્પડ જ મારત ??

27/11/2011

ઍનકાઉન્ટર : 27-11-2011

૧. આજની પ્રસિદ્ધ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપર વધી ગયેલા દબાણ વિશે તમારે શું કહેવું છે ?
- મારૂં સ્તર ફક્ત શિક્ષણ-મંત્રી જેટલું જ છે... મને આ જવાબ આપતા ના આવડે !
(મનિષા કે. દવે, આણંદ) 

૨. દોસ્તીમાં કોઈ તમારી સાથે દગો કરે ત્યારે શું વિચારો છો ?
- મેં તો ડાયમન્ડ ગૂમાવ્યો છે... એમણે પણ !
(શ્રીમતી કરૂણા સી.ભટ્ટ, વડોદરા) 

૩. 'જે પીએ બીયર, તેની પત્ની જાય પિયર'...સાચી વાત ?
- બીયરને તમે એટલો સસ્તો ન ધારો !
(હસમુખ પરમાર, નાડા-જંબુસર) 

૪. આજકાલ લોકોની ઇશ્વરમાં શ્રદ્ધા ઓછી થઇ ગઇ હોય, એવું તમને નથી લાગતું ?
- બહુ વધારે પડતી છે, એટલે તો દેશના ફનાફાતીયા થઇ ગયા છે...!
(સ્મિતા શૈલેષ કોઠારી, મુંબઈ) 

૫. લાખોનો ખર્ચો કરીને લગ્ન કરાવવા, એને બદલે એટલી રકમ દીકરી-જમાઈને સોંપી દેવી વધુ જરૂરી ?
- રાજકીય નેતાઓ રેલી-સમારંભો દ્વારા શક્તિ-પ્રદર્શન કરે અને કન્યા કે વરનો પિતા આ રીતે પોતાનો ઠાઠ બતાવે.... દીકરી કે દીકરા ઉપર પ્રેમ કાંઇ વરસી જતો નથી !
(ગીતા ભાવેશ ઠક્કર, મુંબઈ) 

૬. સ્ત્રીઓ સાડીમાં વધુ સુંદર લાગે, છતાં જીન્સ કે ડ્રેસને કેમ વધુ પસંદ કરતા હશે ?
- રામા હો રામા...તમારે હજી વધારે સુંદર સ્ત્રીઓ જોવાની જરૂર છે...!
(રામાભાઈ પ્રજાપતિ, ઇંદ્રોડા) 

૭. અશોક દવે, તમે લગ્ન પહેલાં જ બે પાંદડે હતા કે પછી બે પાંદડે થયા ?
- લગ્ન પહેલા હું બે પાંદડા પહેરીને ફરતો... હવે ઝાડી-ઝાંખરા રાખવા પડે છે !
(જી.એમ.અભી, માંગરોલ-સુરત) 

૮. હવેના યુવાન-યુવતીઓની હાઇટ કેમ આટલી બધી હોય છે ?
- છેલ્લા ૨૦-૨૫ વર્ષોથી લોકોને ફ્લૅટના ૧૦-માં કે ૧૨-મા માળે રહેવા જવું પડયું છે....! પહેલાના વખતમાં બધું ગ્રાઉન્ડ-ફલૉરમાં પતી જતું !
(સલીમ અને ઉંમર, નડિયાદ) 

૯. અમારે તમને જમવા બોલાવવા છે... શું કરવું ?
- રોકડા મોકલાવી દો ને !
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત) 

૧૦. ઘણા લોકો પોતાના ભગવાન સિવાય બીજા ભગવાનોને માનતા જ નથી...એવાઓને શું કહેવાય ?
- નફ્ફટ.
(જગદિશ બી. સોતા, મુંબઈ) 

૧૧. જન્મ અને મૃત્યુનો કમાન્ડ તમારા હાથમાં હોય તો શું કરો ?
- તમારી ઉંમર જણાવશો.
(ગીરિશ બી. વાઘેલા, અમદાવાદ) 

૧૨. જગતમાં પહેલું શું આવ્યું ? મરઘી કે ઇંડુ ?
- ઓ બેન, આ સવાલ કોઇ ઑમલેટની લારીવાળાને પૂછો.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી) 

૧૩ ચૂંટણીઓ આવતા જ આપણા પ્રપંચી અને નફ્ફટ કોંગ્રેસી નેતાઓ ધર્મનિરપેક્ષતાના ગાણાં ગાવા માંડે છે... આ લોકો સમજે છે શું ?
- તે અમે તો ભાજપવાળા ય દેશની કઇ સેવાની વાતો કરે છે ? બન્ને એકબીજાને વધારે ખરાબ કહેવડાવે, એવી પાર્ટીઓ છે.
(ઇંદુ વિનોદ જોશી, અમદાવાદ) 

૧૪. ભૂતપૂર્વ ટેલીકૉમ પ્રધાન એ.રાજા જેવો ૧,૭૯,૦૦૦-કરોડ રૂપિયાનો ગોટાળો તમે કરો તો ડિમ્પલ ''બા'' તમને સામે ચાલીને શોધતા આવે કે નહિ ?
- એ 'બા' હશે તમારી !
(કૃતિકા/અવનિ પારેખ, સુરત) 

૧૫. રાહુલ ગાંધીએ (વિકીલીક્સના સૌજન્યથી) કહ્યું હતું, 'હિંદુ કટ્ટરવાદીઓથી ભારતને ખતરો'....!
- એનો એક મતલબ એવો પણ થયો કે, હિંદુઓ માટે રાહુલ ગાંધી મોટો ખતરો છે.
(સુહાસી પારેખ, સુરત) 

૧૬. આજની આધુનિક સુંદર યુવતીઓને જોઇને, તમને વહેલા જન્મી ગયાનો અફસોસ થાય છે ?
- અફસોસ એમના ફાધરોને થાય.. મને નહિ !
(જયેશ અંતાણી, ભાવનગર) 

૧૭ 'શીલા કી જવાની' પર નાચતી કૅટરિના કૈફને જોઇને તમને કેવો અનુભવ થાય છે ?
- એક નૉર્મલ માણસને થાય એવો.
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ) 

૧૮ બાળકો પૂછે છે કે, આપણા દેશના વડા પ્રધાન કોણ ? તો શું જવાબ આપવો ?
- એક માત્ર ડૉ. મનમોહનસિંઘ સિવાય આ જવાબની બધાને ખબર છે.
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ) 

૧૯. મારા અક્ષરો બહુ ખરાબ છે. સુધારવા માટે શું કરવું ?
- કમ્પ્યૂટરમાં લખવાનું રાખો.
(આશિષ એચ. વ્યાસ, વલસાડ) 

૨૦. બા ખીજાઇ ખીજાઇને થાકી ગયા.... બાપુજી ક્યાં સુધી ચૂપ રહેશે ?
- બા કહેશે ત્યારે.
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી) 

૨૧. મૃત્યુ નિશ્ચિત છે, તો પછી માણસને શાંતિ કેમ નથી ?
- કારણ કે, મૃત્યુ નિશ્ચિત છે.
(સુરેશ એન. બલુ, સુરત) 

૨૨. હાલની અભિનેત્રીઓ અંગ-પ્રદર્શન થાય એવા એકદમ ટૂંકા વસ્ત્રો પહેરતી હોય છે, તો એમની બાઓ ખીજાતી નહિ હોય ?
- એમની બાઓ એમનાથી ટુંકા પહેરતી હોય !
(ચંદ્રકાંત જાની, જામનગર) 

૨૩. અદાલતોમાં ન્યાયાધિશોની પાછળ મહાત્મા ગાંધીનો ફોટો મૂકાય છે... કોઇ ફેરફાર થાય એમ છે ?
- રાહુલ ગાંધીનો મૂકાશે.
(મધુકર પી. માંકડ, જામનગર) 

૨૪. માનવીનું પ્રથમ કપડું બાળોતીયું અને અંતીમ કફન... તો પછી આટલી બધી દોડધામ શા માટે ?
- વચ્ચેની તમામ અવસ્થાઓમાં ય પહેરવા પડે છે, માટે !
(મહેન્દ્ર દોશી, ઊના) 

૨૫. અગાઉના જમાનામાં પત્નીઓ એમના પતિદેવોનું નામ કેમ નહોતી બોલતી ?
- એમને એમના કામમાં રસ હતો.
(શ્રીમતી મીના નાણાંવટી, રાજકોટ) 

25/11/2011

'હમારી યાદ આયેગી' (૬૧)

ફિલ્મ : 'હમારી યાદ આયેગી' (૬૧)
સંગીત : સ્નેહલ ભાટકર
ગીતો-વાર્તા : કેદાર શર્મા
ફિલ્મની લંબાઇ : ૧૬ રીલ્સ
કલાકારો : તનૂજા, અશોક, માધવી, અનંતકુમાર, આર. દુબે, સુજાતા, વિજય એમ., શિવરાજ

ગીતો 
૧. ફરિશ્તોં કી નગરી મેં મૈં આ ગયા હૂં... મૂકેશ, મુબારક બેગમ
૨. કભી તો પૂરા તોલ પ્રાણી... મુબારક બેગમ અને અન્ય
૩. દિલ તોડ કે જાના હૈ તો કલ હી ચલે જઇયો... સુમન કલ્યાણપુર
૪. સોચતા હૂં મૈં ક્યા, યે ક્યા કિયા મૈંને... લતા-મૂકેશ
૫. જવાં મુહબ્બત હસિન આંખો મેં કિસ લિયે... લતા-મૂકેશ
૬. છેલ છબિલા છોકરા મુઝે લિ ગયા નદિયા પાર... સુમન-રફી
૭. કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આયેગી... મુબારક બેગમ
૮. આંખોં મેં તેરી યાદ લિયે જા રહા હૂં મૈં... મૂકેશ 

અમદાવાદના રેલવે સ્ટેશનની સામે અલંકાર સિનેમા હતું, ત્યાં આજે કોઇ માર્કેટ-બાર્કેટ જેવું બની ગયું છે, પણ '૬૦ની સાલમાં થીયેટરના નવા રૂપરંગ સાથે ફિલ્મ 'જંગલી' આવ્યું, તે પહેલા... સમજો ને, કોઇ '૫૮-'૫૯ની સાલમાં અમે હોઇશું કોઇ ૬-૭ વર્ષના, એટલે જૂની અલંકાર ટૉકીઝમાં (એની ય પહેલા મોટે ભાગે તો એનું નામ 'સરસ્વતિ ટૉકીઝ' હતું... મૅમરી-લૉસ કરવાની મને છુટ્ટી...!!!) પહેલા અમે બાળકો માટે કેદાર શર્માની ટચુકડી (આજની ભાષામાં ૨૦ -૨૦ ક્રિકેટ મૅચો જેવી) બાળકો માટે ખાસ બનાવેલી ફિલ્મ 'જલદીપ', 'હરિયા' અને 'સ્કાઉટ-કૅમ્પ'... કૅન યૂ બીલિવ...? ફક્ત રૂ. ૦.૨૫ પૈસાની ટિકીટમાં જોવા મળતી. આ ત્રણે ફિલ્મો થોડી ઘણી નહિ, ઘણી-ઘણી હજી ય યાદ છે. ખાસ તો એ ફિલ્મોનો હીરો સંસારનું સર્વશ્રેષ્ઠ નામ જીતી લાવ્યો હતો, ''અશોક'' (અહીં તમે સૌજન્ય ખાતર, આ વાંચતા વાંચતા ઊભા થઇને તાળીઓ દ્વારા અભિવાદન કરી શકો છો...!) આ અશોક શર્મા કેદાર શર્માનો દીકરો હતો. ઘણો હૅન્ડસમ અને રૂપકડો. થોડો મોટો થયો એટલે એના ડૅડીએ નૂતનની નાની બહેન તનૂજાને લઇને પહેલી ફિલ્મ બનાવી, તે આ.... 'હમારી યાદ આયેગી'. 

ધેટ્સ ફાઇન... ફિલ્મની વાતો પછી કરીશું, પહેલા કેદાર શર્મા (૧૨ April ૧૯૧૦ - ૨૯ April ૧૯૯૯)ની વાતો વાંચવામાં ય પડતી મૂકાય નહિ, એવી રંગતભરી છે. એક તો, આ માણસનો બહુ મોટો આભાર માનવો પડે, એણે ફિલ્મો દ્વારા આપણને જે કાંઇ આપ્યું છે, એ માટે. ઠેઠ કે.એલ. સાયગલના જમાનામાં અભિનેતા, દિગ્દર્શક, ગીતકાર રહી ચૂકેલા કેદાર શર્માએ રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી, પેલી ખૂબ સુંદર-સુંદર ઝેબ રહેમાન (પ્રીતિબાલા), સંગીતકારો રોશન અને સ્નેહલ ભાટકરની ભેટ એમણે આપી છે. સૈગલના તમે ચાહક હો તો એમના મુલ્કમશહૂર ગીતો, 'બાલમ આયે બસો મોરે મન મેં', 'દુઃખ કે અબ દિન બીતત નાહી' કેદારનાથ શર્માએ લખેલા હતા. ફિલ્મ 'બાવરે નૈન'ના તો એકેક ગીત તમને કંઠસ્થ છે, એટલે 'તેરી દુનિયા મેં દિલ લગતા નહિ, વાપસ બુલા લે'થી માંડીને અશોકકુમાર-મીનાકુમારી-પ્રદીપકુમારવાળી ફિલ્મ 'ચિત્રલેખા' સુધીની કેદાર-સફર મનોહર હતી. એ પણ જોવાની બાદશાહત છે કે, પોતે આવા અર્થપૂર્ણ ગીતકાર હોવા છતાં, 'ચિત્રલેખા'ના ગીતો શુધ્ધ હિંદીમાં હોવા છતાં સાહિર લુધિયાનવી ઉપર વિશ્વાસ રાખીને સાહિર પાસે લખાવ્યા... અને, ભા'...આય...ભા'...આય'.... 'યે પાપ હૈ ક્યા યે પૂન્ય હૈ ક્યા, રીતોં પર ધર્મ કી મોહરેં હૈં. ઈસ લોક મેં ભી અપના ન સકે, ઉસ લોક મેં ભી ક્યા પાઓગે..!' જેવી સુંદર રચનાઓ સાહિરે લખી છે. 

ફિલ્મવાળાઓની આદત મુજબ, હીરો હોય કે દિગ્દર્શક, મજબુત બનાવટની, આકર્ષક અને ટકાઉ હીરોઇનોના પ્રેમોમાં પડવું જ પડે... ના પડે તો, હીરોઇનોની બાઓ ખીજાય એટલે પરંપરા તૂટે નહિ એ ખાતર મૂળ છોકરી જેવો અવાજ અને શરીર ધરાવતા કેદાર શર્મા ગીતા બાલીના પ્રેમમાં પડી ગયા. (ગીતામાં અક્કલ હતી, એટલે પછી તો એ શમ્મી કપૂરને પરણી, એ તમે જાણો છો.) ગીતા બાલીને પણ પ્રેમમાં ઘસડી લાવવા માટે પહેલી વાર કેદારે જ ફિલ્મ 'સુહાગન'માં એને હીરોઇન બનાવી. આ ફિલ્મ મારા ઘેર પડી છે... અને કેદાર શર્માના સોગંદ... પૂરી ૨૦ મીનિટ પણ જોઇ ન શકાય, એવી કન્ડમ ફિલ્મ છે. 

ઇન ફૅક્ટ, કન્ડમ ફિલ્મો જ બનાવવાની કેદાર શર્માને સૉલ્લિડ ફાવટ આવી ગઇ હતી. ઇવન ભલે રાજ કપૂરને પહેલી વાર હીરો તરીકે એમણે જ 'નીલકમલ'માં ચમકાવ્યો- આ આપણી મધુબાલા સાથે, પણ ફિલ્મ એક ત્રાસ હતી. મેં જોઇ છે એટલે કહું છું. એટલે પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા એમણે 'હમારી યાદ આયેગી' બનાવી, જે સૌથી વધુ કન્ડમ હતી, એમાં મેં નવું શું કીધું? આ તો એક વાત થાય છે. પણ, પણ... પણ મૂળ મધુબાલામાં ન ફાવ્યા તો ગીતા બાલીમાં રોકાણ કરી જોયું, ત્યાં ય અરજી પાછી આવી એટલે પોતે બનાવેલી ફિલ્મોમાં હીરો ચારે બાજુથી રીજૅક્ટ થતો હોય, એ વાત બધી વાર્તાઓમાં કૉમન રહી. મોટે ભાગે, પરણેલો પુરૂષ બહારના રોકાણોમાં નિષ્ફળ જાય, ત્યારે બહુ ધુંધવાતો હોય, દુઃખી દુઃખી થઇને ફરતો હોય, લેંઘાનું નાડૂં ય ફીટ ના બાંધ્યું હોય અને સલૂનમાં ગયા પછી ય ભૂલી જાય કે, દાઢી મારે કરાવવાની છે કે બીજા કોઇની કરી આલવાની છે...! લેખનો આ હિસ્સો આત્મકથાનો ભાગ નથી, પણ લગ્ન માટે કૂંવારાઓ બાબતે કહેવાય છે કે, 'લગ્ન ના કર્યા હોય પણ જાનમાં તો ગયા હોઇએ ને...?' એમ અમે કાંઇ કર્યું ન હોય, પણ બીજાઓને જોઇને જીવો તો બાળ્યા હોય ને...? આ તો એક વાત થાય છે!) 

એટલે કેદારનાથ શર્માની પર્સનલ નિષ્ફળતાઓ એમની ફિલ્મોમાં ડોકાતી હતી એટલે એમણે જે આત્મકથા લખી, એનું ટાઇટલ બહુ સૂચક રાખ્યું The One And Lonely, KIDAR SHARMA. 

એમનો પુત્ર અશોક સ્માર્ટ અને હૅન્ડસમ બેશક હતો, પણ હીરો-મટીરિયલ નહતો, એટલે ફક્ત ઘરમાં જ ચાલ્યો. તનૂજાને પણ હીરોઇન તરીકે આ પહેલો બ્રેક મળી રહ્યો હતો. આજે આ ફિલ્મ જુઓ તો, તનૂ માટે રીસ્પૅક્ટ થાય કે, સાવ કૂમળી વયની હોવા છતાં ઍક્ટિંગ એને માટે સાવ સાહજીક હતી. મમ્મી શોભના સમર્થ હોય અને સગી બહેન નૂતન હોય, પછી સુપુત્રી કાજોલ જેવી હરકોઇ ઍન્ગલથી બેનમૂન અભિનેત્રી બને, એમં આશ્ચર્યો ફક્ત સુખદ જ થાય. આજ સુધીની તમામ હીરોઇનોમાં ગીતા બાલી અને તનૂજાની બરોબરીની બીજી કોઇ હીરોઇન આવી હોય તો એક માત્ર કાજોલ જ. 

બાકી તો ફિલ્મ 'હમારી યાદ આયેગી'માં બીજી ય એક સાઇડ-હીરોઇન હતી, માધવી. ફાલતુ ઍક્ટ્રેસ હોવાને કારણે ક્યાંય ચાલી નહિ અને છેવટે ભપ્પી સોની નામના દિગ્દર્શક સાથે થૂઇ-થપ્પા કરી લીધા, એટલે કે પરણી લીધું. આમ તો, આ ભપ્પી સોની ય એક જમાનામાં સફળ નામ હતું, ખાસ કરીને શમ્મી કપૂરવાળી ફિલ્મ 'બ્રહ્મચારી' એમણે બનાવી હતી. એ પહેલા ય શમ્મી સાથે જ 'જાનવર' (જેમાં પોપટલાલ-રાજેન્દ્રનાથની પ્રેમિકા આ માધવી બને છે!), 'જવાં મુહબ્બત' અને ધર્મેન્દ્ર સાથે 'તુમ હંસિ, મૈં જવાં', 'પ્યાર હી પ્યાર' અને 'ઝીલ કે ઉસ પાર' બનાવી. જેમાં રફી સાહેબનું મારૃં લાકડું ગીત 'ચાંદની રાત મેં યૂં દિલ કો ચુરા કે તો ન જા' શશી કપૂર પર ફિલ્માયું હતું... ભલે કલ્યાણજી-આણંદજીએ બનાવ્યું હોય...! પણ એક ઘણી સારી કૉમેડી 'એક ફૂલ ચાર કાંટે' (સુનિલ-વહિદા) પણ ભપ્પી સોનીની જ દેન છે. 

ભપ્પી સોની અને માધવીની સુપુત્રી 'સાગરિકા સોની' જાણીતી મૉડેલ છે. 

આ કૉલમમાં આપણે 'હમારી યાદ આયેગી'ને બંડલ ફિલ્મ કહી દીધી અને અગાઉ પણ આવી ફાલતુ ફિલ્મો વિશે લખીએ છીએ, તો પ્રશ્ન થાય કે જાણવા છતાં આવી ફિલ્મો વિશે લખવાનો ઈરાદો શું

ઘણીવાર આપણને જોર ચઢે છે બંડલ ફિલ્મોના બેનમૂન સંગીત અને ગીતોથી. આ લો ને... અત્યારે પૅપર ફોડી દીધું કે, 'હમારી યાદ આયેગી' ફાલતું ફિલમ જ હતી, છતાં ય એ જ ફિલ્મના ગીતો જરી યાદ તો કરી જુઓ...! ઉપર લખેલા છે, એટલે રીપિટ નથી કરતો, પણ પૂરી સાનભાન સાથે કહી રહ્યો છું કે, મેં સાંભળેલું આજ સુધીનું સર્વોત્તમ ગીત આ ફિલ્મનું મૂકેશજીએ ગાયેલું, 'ફરિશ્તોં કી નગરી મેં મૈં આ ગયા હૂં...' છે. અફ કૉર્સ, મારી પસંદ-નાપસંદ સાથે વાચકોને લેવા-દેવા ન હોય, પણ આ ગીત હું કદી ય સાંભળતો એટલા માટે નથી કે મારે એનો ચાર્મ બરકરાર રાખવાનો છે. ઘરમાં તો વર્ષોથી ડાયમંડ નૅકલેસની માફક સચવાયેલું પડયું હોય, પણ આ સમજ મારી છે કે, મને ખૂબ જ ગમતા ગીતો સાંભળવાના જ નહિ... સિવાય કે, મન બહુ ભરાઇ આવ્યું હોય ત્યારે એકાદ વાર સાંભળી લેવાથી વર્ષો જૂનો ઊભરો બહાર નીકળી જાય. સંગીતકાર સ્નેહલ ભાટકરને મૂકેશ ખૂબ ગમતો હતો, એટલે એમની ફિલ્મોમાં ક્યાંક તો મૂકેશ હોય જ... ઇવન, વર્ષો પહેલાની એમની ફિલ્મ 'ઠેસ'માં મુહમ્મદ રફી સાથે મૂકેશનું યુગલ ગીત 'બાત તો કુછ ભી નહિ, દિલ હૈ કે ભર આયા હૈ..' તો જેણે સાંભળ્યું હોય, એને માટે સિંહાસન સાતમા આસમાને મૂકાવવું પડે. ઇવન આ ફિલ્મ હમારી યાદ આયેલી'માં પણ લતા સાથેનું યુગલ ગીત, 'સોચતા હું યે ક્યા...'માં મૂકેશ કેવી જમાવટો કરે છે! સંપૂર્ણ ગાંધીવાદી સંગીતકાર સ્નેહલ ભાટકરે પૂરી કરિયરમાં સંગીત તો ફક્ત ૧૯ ફિલ્મોમાં જ આપ્યું છે અને ખાસ કાંઇ સફળ બી નહોતા, પણ કેદાર શર્માની જ ફિલ્મ 'ફરિયાદ'ના ગીતો આલા-દરજ્જાના હતા કે નહિ? પેલું ઝગડમ-ઝગડીવાળું મહેન્દ્ર કપૂર-સુમન કલ્યાણપુરવાળું, 'વો દેખો દેખા દેખ રહા થા પપીહા... પપીહા... પપીહા... પપીહા... પપીહા... પપીહા'વાળું ગીત, સુમનનું જ 'હાલે દિલ ઉનકો સુનાના થા, સુનાયા ન ગયા' અને રફી-સુમનનું 'તેરે દમ સે મેરી મેરે મેરે તેરે દમ સે તેરી જીંદગાની... જીંદગાની... જીંદગાની'વાળું ગીત. સ્નેહલે તો સ્વયં નૂતન પાસે અને હેમંતકુમાર પાસે ફિલ્મ 'છબિલી'માં કેવા મધુરા ગીતો ગવડાવ્યા હતા, 'લહેરોં પે લહેર, ઉલ્ફત હૈ જવાં...

અગાઉ ફિલ્મનું નામ 'જવાં મુહબ્બત' રાખવામાં આવ્યું હતું અને ફિલ્મના બે-ત્રણ ગીતોની ૭૮ rpm રૅકોર્ડ્સ્ એ નામે જ બહાર પડી હતી. પછી મુબારક બેગમનું ગીત 'કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આયેગી...'ના રીહર્સલો થતા હતા, ત્યારે સંગીતકાર સ્નેહલ ભાટકર અને નિર્માતા કેદાર શર્માને ખ્યાલ આવી ગયો હતો કે, આ ગીત સુપરહિટ જવાનું તય છે. ત્યાં સુધીમાં ફિલ્મ 'જવાં મુહબ્બત'ને નામે રૅકોર્ડ્સ ભલે બહાર પડી ગઇ... બાકીના ગીતોમાં ફિલ્મનું હવે બદલેલું નવું નામ, 'હમારી યાદ આયેગી' જ રાખીશું. 

સ્નેહલનો છોકરો રમેશ ભાટકર અગાઉ 'કમાન્ડો' કે એવા કોઇ નામ વાળી ટીવી-સીરિયલમાં આવતો હતો. 

અમોલ પાલેકર ફૌજી ભાઇયોં કા વિશેષ જયમાલા કાર્યક્રમમાં આવ્યો ત્યારે એક રસિક વાત કરતો ગયો હતો કે, નાનપણથી રેડિયો ઉપર ફિલ્મી ગીતોમાં સંગીતકાર સ્નેહલ નામ સાંભળું, એટલે એ કોક સુંદર સ્ત્રી હશે, એમ સમજીને મનોમન એમના પ્રેમમાં પડી ગયો હતો, પછી ખબર પડી એટલે...! 

ઇન ફૅક્ટ, સ્નેહલ એમની દીકરીનું નામ છે. એમનું પોતાનું નામ તો વાસુદેવ ભાટકર હતું, એટલે કેદાર શર્માએ બનાવેલી રાજ કપૂર-મધુબાલાવાળી ફિલ્મ 'નીલકમલ'માં ભાટકરનો 'બી' લઇને સંગીતકાર તરીકે નામ, 'બી. વાસુદેવ' રાખ્યું હતું. એ ફિલ્મમાં આપણા ગુજરાતી ગાયક નીનુ મજુમદાર અને અનિલ બિશ્વાસના બીજી વારના ઘરવાળા અને ગાયિકા મીના કપૂર પાસે જે ભજન ગવડાવ્યું, ''આઇ ગોરી રાધિકા, બ્રીજ મેં બલખાતી, બલી બલી જાઉં, ક્રિશન કન્હાઇ...'' એના રાગ-ઢાળ સાથે રાજ કપૂરે પૂરેપૂરૃં 'સત્યમ શિવમ સુંદરમ'માં ઉઠાવીને મૂકી દીધું હતું. હવે 'યશોમતિ મૈયા સે પૂછે નંદલાલા...'ના રાગમાં આ 'આઇ ગોરી રાધિકા...' ગાઓ, એટલે તમે વગર સાંભળે ૭૦ વર્ષ પહેલાનું ગીત પરફૅક્ટ ગાયું કહેવાય! 


ફિલ્મ વિશે બહુ કાંઇ વાત કરવા જેવી નથી. કેદાર શર્માનું નામ બહુ ફખ્ર સાથે ભંગાર ડાયરેકટરોના લિસ્ટમાં મૂકાય. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો બનાવતા હોવા છતાં એમને લાઇટિંગ કે કૅમેરાના 'ટૅકિંગ'નું બહુ ભાન પડતું હોય, એવું તો ક્યાંય દેખાતું નથી. કૅમેરા એક જ સ્થાને યથાવત રહે, ફિલ્મના પડદે ગાનાર હીરો-હીરોઇન ફ્રૅમમાંથી બહાર નીકળ્યા વગર આખું ગીત પૂરૂં કરી લે, એવું તો સંવાદોમાં ય અનેક ઠેકાણે બન્યું છે. પોતાની ફિલ્મોમાં પોતાનો પર્સનલ-ટચ આપો, એમાં તો ખુદ રાજ કપૂરે ય નિષ્ફળ ગયો હતો, ત્યાં આ લોકો તો બિચારા કેટલું દોડે? કાઢવો જ હોય તો એક સારો ગુણ નીકળે કે, કેદાર શર્માને વાર્તા કહેતા સરસ આવડતી હતી, એટલે ફિલ્મ જોતી વખતે બહુ સરળતાથી વાર્તાનો ફ્લો વહે રાખે... ક્યાંય કશો ગુંચવાડો નહિ, એટલે ફિલ્મ જોવાનો કંટાળો સહેજ પણ ન આવે.

23/11/2011

ગિફ્‌ટમાં ઘોડો...?

દસ્તૂર થઇ ગયો છે કોઇને ત્યાં જઇએ એટલે ખાલી હાથ ન જવાય! કંઇક તો લઇ જ જવું પડે. આ ‘કંઇક’માં હું તો મારા સમ્રાટના બાળકો સિવાય કાંઇ લઇ જતો નથી, એમાં છાપ બગડે છે. ‘આ લ્લે લે... આ તો હાવ ખાલી હાથે આયા..!!!’ એવા ત્રણ આશ્ચર્ય ચિહ્નો એમના ચેહરાઓ ઉપર દેખાય.‘‘આમને એમ પણ ન થાય કે, કોકને ઘેર જઇએ છીએ તો છેવટે છોકરાઓ માટે કંઇક લેતા જઇએ..??’’ એવા બે વધારાના પ્રશ્નાર્થ ચિહ્‌નો અમને પાણી પિરસતી વખતે દેખાય. બીક લાગે કે, પાણી આપણા મોંઢા ઉપર તો નહિ ઢોળે ને? 

ખાલી હાથ નહિ જવાનું આ કલ્ચર હમણાં-હમણાંનું ઊભું થયું છે... મેહમાનો આવે ત્યારે આઇસ્ક્રીમ, ચોકોલેટસ, મીઠાઇ કે અન્ય કોઇ ગિફ્‌ટ હસતા-હસતા સાથે લેતા આવે ને આ લોકો હસતા-હસતા, ‘‘ઓહ... આની શી જરૂર હતી..’’ એવું પાછું હસતા હસતા ખરખરો કરતા હોય, એમ બોલે. આમ તો, ‘આની ‘જ’ જરૂર હતી’ એવું એ લોકો જાણતા હોય છે. 

મહેમાનગતિને આ લોકોએ પૉટલૉગ બનાવી દીધી છે. કોઇએ જમવા બોલાવ્યા હોય, ત્યાં આપણે તો કાંઇક લેતા જ જવાનું.. ભલે પછી એમના ફ્રીજમાં પડયું રહે. હું આવી ગીફ્‌ટ -સ્કૂલનો વિદ્યાર્થી નથી. સાવ મિડલ-ક્લાસનો માણસ હોવાથી મને પોસાતું પણ નથી કોઇના ઘરે ‘ભરેલે’ હાથે જવાનું. તમે કાંઇ પણ લઇ જાઓ, એ મિનિમમ રૂ. ૨૦૦-૩૦૦થી ઓછું તો હોવાનું નથી! જ્યાં જઇએ ત્યાં દર વખતે આવા ૨૦૦-૩૦૦ ના પોસાય, ભ’ઇ... અમારામાં તો બા ખીજાય! એ લોકોએ પણ નાસ્તા-પાણી બનાવ્યા હોય છતાં આપણે કાંઇક ને કાંઇક લઇ શું કામ જવાનું? ઓહ.. કદાચ એ લોકોના ઘરમાં ખૂટી પડે, એવો આપણને ડર હોય...? કદાચ, એમને ઘેર આપણો નાસ્તો આપણે જ લઇ જવાની સીસ્ટમ હોય તો? કદાચ દર વખતની જેમ, એમના ઘરનું બનાવેલું આપણા મ્હોમાં ય પેસે નહિ એવું હોય તો? કે પછી સારા નાસ્તા-પાણી કોને કહેવાય, એ બતાવી આપવા આપણે કંઇક સાથે લેતા જતા હોઇશું? 

.... તારી ભલી થાય ચમના... ત્યાં તું નાસ્તા-પાણી ઉડાડવા નથી જતો... મળવા બે ઘડી હળવા જાય છે, પછી શેના આ બધા ફતૂર માંડયા છે..? પંખો ચાલુ કર ચમના..! 

ઇન ફેક્ટ, ‘ખાલી હાથ’ નહિ જવાનું કારણ એ નથી કે, શિરસ્તો છે માટે લઇ જવું પડે... મનમાં ડર એ હોય છે કે, એ લોકોએ આટલું બઘું બનાવ્યું છે, એટલે સામું આપણે પણ કંઇક ‘વાળી આપવું જોઇએ’’.. હાં, યે બાત હૈ..! અમે તમારૂં ખાઇને બેસી રહીએ એવા નથી.. કે પછી, ‘‘અમે કાંઇ ભૂખાવડાઓ નથી..!’’ એવો ડર પણ બધાના નહિ તો ઘણાના મનમાં હોય છે. ગુજરાતીઓને ખર્ચાનો કે બગાડનો કોઇ વાંધો હોતો નથી. પણ સામસામું બતાઇ આપવાના ઝનૂનો બધાને ઉપડતા હોય છે. ‘આપણે એ લોકોને ત્યાં જમી આયા... હવે સાલાઓને આવવા દો આપણે ઘેર... બઘ્ઘું બતાઇ દેવું છે કે, અમે ય કોઇ ગેંગેં-પેંપે નથી.. અમારા ઘરમાં ય સેવન-કોર્સ ડિનર હોય છે...!’ 

લો કલ્લો બાત...! એક બાજુ સૅવન-કોર્સ ડિનર જમવા જતા હોઇએ ને બીજી બાજુ, સાથે ૨૦૦-૪૦૦ની ગિફ્‌ટ પણ લેતા જવાનું! હું ક્યારેય કોઇના ઘેર આવી કોઇ ગિફ્‌ટ લઇને જતો નથી, જેને જે માનવું હોય તે માને... અફ કોર્સ, મને પણ મારા ઘરે આવતું કોઇ ગિફ્‌ટ લાવે, એ પસંદ ન જ હોય... 

...ને તો ય, એક વાચક બહુ ખુશ થઇને મારા માટે ગિફ્‌ટમાં જીવતેજીવતો ઘોડો લઇને આવ્યા. મારા હાથમાં ઘોડાની ગિફ્‌ટ પેક કરેલી લગામ પકડાવતા બોલ્યા, ‘‘સાવ ખાલી હાથે તો તમારે ત્યાં ન અવાય ને?’’ 

મારી નોકરી બરોબર નહિ ચાલતી હોય ને જરૂર પડે તો શહેરમાં હું ઘોડાગાડી ફેરવીને પેટીયું રળી શકું, એવો કોઇ પવિત્ર હેતુ તો એમનો ન લાગ્યો. દેખાવ ઉપરથી એમણે મને શહેનશાહ અશોક ધારી લીધો હોય એવું મને જોયા પછી બનવા જોગ નથી. ઇતિહાસમાં મારા ૩૯ માર્કસ આવ્યા હતા, એટલે મને મારા પૂરતા ઇતિહાસમાંથી હું એટલું જ શીખ્યો હતો કે ઘોડા ઉપર શહેનશાહો શોભે. મને નજરે જોનારાઓ જાણે છે કે, હું ઘોડા ઉપર તો જાવા દિયો... હિંચકે બેઠેલો ય શોભતો નથી. 

ના-ના કરવા છતાં ગિફ્‌ટનો ઘોડો સ્વીકારવો તો પડયો, તો પણ સવાલ એ ઊભો થયો કે, એને અમારા ચોથે માળે કેવી રીતે લઇ જવો? તાસિર દરેક ઘરની કોઇ નવી વસ્તુ આવે, એટલે જોવાનું બધાને મન થાય. પણ પ્રેક્ટીકલી, ઘોડો કે BMW કાર પણ લીધી હોય, એને ચોથા માળે લઇ ન જવાય... લોકો વાતો કરે! ફ્‌લેટોમાં લોખંડના કબાટો ચઢાવવાના આવે છે, ત્યારે, મજૂરીયાઓ દોરડા બાંધીને બાલ્કની-માર્ગે સિધાવે છે.. આઇ મીન.. ફ્‌લેટની બહારથી બાલ્કનીના રસ્તે દોરડા વડે કબાટને ખેંચીને ઉપર લાવે છે. પણ એમ કાંઇ થોડો ઘોડાને પણ ચારે બાજુથી મુશ્કેટાટ બાંધીને ઉપર ખેંચી લેવાય છે? બીજો સવાલ મારી આખી સોસાયટીને થયો કે, બીજું બઘું તો ઠીક છે, પણ અશોક દવે આ ઘોડો ‘પાર્ક’ ક્યાં કરશે? મને આવો સવાલ ન થયો કારણ કે હું તો મારી ગાડી પણ પાર્કિંગને તબેલો માનીને ગમે ત્યાં પાર્ક કરી દેતો હોઉં છું. (સ્પષ્ટતાઃ ‘ગાડી’ એટલે ઘોડાગાડી નહિ, કાર સમજવાની છે.. સ્પષ્ટતા પૂરી) ફ્‌લેટવાળા તો બધાનો નકરો વિરોધ જ કે, તમે હાથી લાવો કે ઘોડા-ગધેડા લાવો; પાર્કિંગમાં પોદળાં નહિ પાડવા દઇએ, ઘાસના ઢગલે ઢગલા નહિ જોઇએ, અડધી રાત્રે ઘોડા હણહણવા નહિ જોઇએ અને ચોથી શરત તો ભયાનક હતી.. ઘોડાની સાથે ઘોડી લાવવા નહિ દઇએ...! 

હું ય માણસ છું અને મારા ય કેટલાક સપનાં હોઇ શકે છે. પેટ્રોલના આ મોંઘાદાટ જમાનામાં ગાડીને બદલે હું ઘોડો વાપરૂં તો ઓફિસે ઘોડા ઉપર બેસીને જતો હોઉં, ટ્રાફિકના રેડ-સિગ્નલ વખતે શિસ્તબદ્ધ રીતે ઊભો રહી જાઉં, રોંગ-પાર્કિંગમાં એકાદ-બે વખત મારૂં અને ઘોડાનું નામ લખાય, થોડા પૈસા કમાઉં, તો ઘોડાનો ય ડ્રાયવર રાખું, એના મ્હોં પાસે મારા હાથમાં ઘાસનો પૂળો પકડીને ફોટા પડાવું... (આમ પાછો કોકની સાથે ઊભા રહીને ફોટા પડાવું ત્યારે સારા આવે છે!... મારા એકલાના ફોટા સારા નથી આવતા!) 

ગિફ્‌ટમાં ઘોડો આપનારની નિષ્ઠા પ્રત્યે મને ડાઉટ પડયો કે, સાલાએ કોઇ જૂની દાઝો કાઢવા તો મને ઘોડો નહિ આપ્યો હોય ને? ગાય હોય તો દૂધો ય દોહીને પીવાય. મને નોલેજ છે ત્યાં સુધી ઘોડાઓ દૂધ નથી આલતા. પોપટ ગીફ્‌ટમાં આપ્યો હોય તો ઘરમાં કોઇ તો ‘રામરામ’ બોલે! ગિફ્‌ટમાં આવેલો કૂતરો મને ગમે ખરો પણ કહે છે કે, દર અઠવાડિયે એને બ્રિડિંગ કરાવવા કોકને ત્યાં લઇ જવો પડે.... અહીં આપણા જીવો બળે! આપણે ઘરમાં થૂઇ-થપ્પા રમવાના ને ઘોડાને સ્પેશિયલી બહાર લઇ જવાનો?... કોઇ પંખો ચાલુ કરો! એક દોસ્તે મને મસમોટુ વૉલ-પેન્ટીંગ ગિફ્‌ટમાં આપ્યું, એમાં અમારૂં આખુ ફેમિલી ટેન્શનમાં આવી ગયું કે, એ કૃતિ લટકાવવા માટે ભીંત ક્યાંથી લાવવી? આ લોકો ગિફ્‌ટમાં પેઇન્ટિંગોની સાથે ભીંતો નથી આલતા હોતા, એમાં બા ખીજાય કે નહિ? ખાસ પેઇન્ટિંગ મૂકવા માટે અમારે ઘરની બહાર એક ભીંત ચણાવવી પડી... એમ કાંઇ મોંઘા ભાવની ગિફ્‌ટો માળીયે મૂકી દેવાય છે કાંઇ? 

એ તો ત્રણ મહિના પછી એમનો (ગિફ્‌ટમાં ઘોડો આપનારનો) અકળાઇને ફોન આવ્યો ત્યારે ખબર પડી કે લોચો મરાઇ ગયો છે.. મેં વળી જાતના ખર્ચે ટ્રક ભાડે કરીને વૌઠાના મેળામાં એ ઘોડો હજાર રૂપિયામાં વેચી નાંખ્યો, એની એમને ખબર પડી એટલે ગિન્નાયા કે, ‘‘આઠ લાખનો ઘોડો તમને ગિફ્‌ટમાં આપ્યો હતો, એ તમે હજાર રૂપરડીમાં વેચી નાંખ્યો, એ તો હું ચલાવી લઇશ.. પણ.. પણ.. દવે સાહેબ, વૌઠામાં ગધેડાનો મેળો ભરાય છે, ઘોડાઓનો નહિ, એટલી ય તમને ખબર નથી પડતી???’’ 

(એ તો અકળાઇ-અકળાઇને મારા ઓળખિતાઓને ખાનગીમાં કહેતા હતા કે, ‘‘વૌઠાનો બીજો મેળો આવવા દો...બારોબાર અશોક દવેનો સોદો કરી ન નાખું તો મને ફટ્ટ કહેજો..! જેને ઘોડા-ગધેડામાં ય ખબર પડતી ન હોય એને તો...’’)

સિક્સર
I can not, but laughનો ગુજરાતી અનુવાદ શું થાય?

20/11/2011

ઍનકાઉન્ટર : 20-11-2011


* સાસુ-વહુનો સંબંધ હંમેશા વિવાદાસ્પદ કેમ રહ્યો છે?
- કઈ સાસુ એના જમાઇને ખરેખર દીકરા જેવો ગણે છે?
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* વાઈફોથી કોણ નથી બીતું?
- પત્નીની સુંદરતાથી અંજાયા વગર પોતાને પણ મૂલ્યવાન ગણે એવા ગોરધનો.
(માનસી હિમાંશુ ચૌહાણ, આણંદ)

* ઓસામા મરે કે બાબા રામદેવ અનશન કરે, મીડિયાકર્મીઓ મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર કે શબાના આઝમીઓ પાસે શેના માટે દોડી જતા હશે?
- અરે એ રીતે, આવા દંભીઓ ખુલ્લા તો પડે છે.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* દુઃખમાં માનવી ઇશ્વરને પ્રાર્થના કરે છે... સુખમાં કેમ નહિ?
- દુઃખ લાંઆઆઆ...બું ચાલે....! સુખ ઘડી-બે ઘડીનું હોય. માંડ મળ્યું હોય, એ પ્રાર્થનાઓમાં વેડફી નાંખે તો ભોગવવાનું ક્યારે?
(ઝુલ્ફિકાર એ.રામપુરાવાલા, મુંબ્રા-મુંબઈ)

* પિતાના પૈસા જતનપૂર્વક વાપરનાર છોકરી પરણ્યા પછી, એના ગોરધનના પૈસા વેડફવામાં શાથી અતિનિર્દય થઈ જાય છે?
- ડોબા ગોરધનો માટે આ સંસારમાં કોઈ જગ્યા નથી.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* શું ‘એનકાઉન્ટર’માં સવાલ પૂછનારનું નામ સવાલ પછી મૂકાય, એ વધારે સાર્થક ન કહેવાય?
- ના. હ્યૂમરની મઝા એના ટાઈમિંગમાં છે. કન્ટીન્યુટી ખાતર સવાલ પછી તરત જવાબ આવે ને ગૅપ ન પડે, એની મઝા હોય છે.
(મનસુખ રામજીભાઈ પ્રજાપતિ, પાલનપુર)

* વચમાં, ‘ઍનકાઉન્ટર’ની જગ્યાએ કોઈ મૉલનું ‘કાઉન્ટર’ ખૂલવાની જા.ખ. હતી!!!
- લોકોને એ દિવસનું ‘ઍનકાઉન્ટર’ ખૂબ ગમ્યું હતું...!
(પ્રો. આનંદ નિકેતન, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, કૉલેજકાળ દરમ્યાન તમે બહુ રૉમૅન્ટિક હતા?
- વૉટ ડૂ યૂ મીન... ફક્ત કૉલેજકાળ દરમ્યાન...??
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)



* હું સાસરામાં સેટ તો થઈ ગઈ છું, પણ કામ અંગે મહેણાં-ટોણાં સાંભળવા મળે છે. શું કરવું?
- આમાં પર્સનલી હું હલવઇ જઉં એમ છું... તમને કોઈ ટીપ્સ આપું, એ હકી વાપરી લે તો...
(શ્રીમતી આરતી નાણાવટી, રાજકોટ)

* તમને સંયુક્ત કુટુંબ ગમે કે બસ... પતિ-પત્ની અને બાળકોવાળું...?
- એનો આધાર તમે મને કયું કુટુંબ સોંપવા માંગો છો, એની ઉપર છે.
(હર્ષા ઈલેશ ઝવેરી, મુંબઈ)

* એ વાત સાચી કે, ટાલ પડવા માંડે ત્યાં પૈસા આવવાની શરૂઆત થાય?
- મેં તો હજી સુધી કોઈ ગરીબ ટાલીયો જોયો નથી!
(અરવિંદ ઠક્કર, મુંબઈ)

* પહેલાના જમાનામાં તો તપશ્ચર્યા કરવાથી પ્રભુ પ્રસન્ન થઈને દર્શન દેતા... હવે કેમ નહિ?
- એ પ્રભુઓ દર્શન દેવા ન આવે એમાં જ ભલાઈ છે... ક્યાંક સામેથી આપણા દર્શન કરવા આપણને ઉપર બોલાવી લે, એ ધંધો વાયડો પડે!
(સ્મિતા શૈલેષ કોઠારી, મુંબઈ)

* ઘરના પ્રસંગે વ્યવહાર ખાતર પણ અણગમતા સંબંધીઓ કે મિત્રોને આમંત્રણ આપવા જવાનું હોય ત્યારે કેવી લાગણી અનુભવો છો?
- સૉરી... હું એટલો બધો ઢીલીયો-પોચીયો નથી. મારે ત્યાં ફક્ત મને ખૂબ ગમતા લોકોને જ આમંત્રણ મળે!
(રવિન્દ્ર નાણાવટી, રાજકોટ)

* રામ-સીતાના મંદિરમાં હનુમાનજી હોય જ, પણ હનુમાનજીના મંદિરમાં રામ-સીતા કેમ નહિ?
- મારા સાસરે મારો ફોટો ટીંગાડેલો છે, પણ મારા ઘરમાં સસુરજી ને સાસુના ફોટા નથી... યે આરામ કા મામલા હૈ...!
(જાગૃતિ એ. ઠક્કર, મુંબઈ)

* ૭૨-ની ઉંમર પછી કાર ન ચલાવી શકાય, પણ સરકાર ચલાવી શકાય...! સુઉં કિયો છો?
- હા. જે મહિલાને જાતે ગાડી ચલાવતા આવડતી ન હોય, તે ૮૦-પ્લસના ડ્રાયવરને ગાડી સોંપી શકે, તો સરકાર તો ક્યા ચીજ હૈ...?
(એન.એમ. ઠક્કર, જામનગર)

* આંખે ઓછું દેખાય તો ચશ્મા પહેરાવાય, કાને ઓછું સંભળાય તેને મશિન મૂકાવાય, પણ મગજમાં પાવલી/આઠ આના ઓછા હોય, એને શું કરાય?
- એને દેશ ચલાવવા આપી દેવાય!
(મોના જગદિશ સોતા, મુંબઈ)

* અચાનક ભગવાન તમારી સામે આવીને ઊભા રહે, ને તમને કાંઈ માંગવાનું કહે તો શું માંગો?
- અત્યાર સુધી જે કાંઈ માંગ્યું છે, એમાંનું કંઈક તો આપો, આ બ્રાહ્મણને!
(ભક્તિ મેહુલ કારીયા, મુંબઈ)

* મરહૂમ રફી સાહેબ વિશે એક વાક્યમાં કહેવું હોય તો શું કહો?
- ફક્ત, ‘‘રફી’’ એટલું બોલો, એમાં ય સંગીતના પૂરા ગ્રંથ વિશે તમે બોલ્યા કહેવાઓ!
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* અગાઉ દીકરીને રસોઈ બનાવતા કેવી આવડે છે, એ પૂછાતું... હવે ભણી છે કેટલું, એ પૂછાય છે...!
- હવે એ અમારા ઘરમાં ‘ટકશે કેટલું?’ એ ય પૂછાશે.
(છાયા આશિત કોટક, મુંબઈ)

* સ્વ. પ્રિયકાંત પરીખની વિદાય વિશે કાંઈ કહેશો?
- એમની જેટલી તોતિંગ સંખ્યામાં સન્માન્નીય વાચકો મેળવવાનું તમે ફક્ત સપનું જોઈ શકો... બાકી તો ઈર્ષા કરવી જ સહેલી પડે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

*  (............)
- મહાત્મા ગાંધી મારા માટે પરમેશ્વરથી ય વઘુ મહાન છે... એમના વિશે કોઈપણ પ્રકારનો હળવો પ્રશ્ન પૂછવાની ય કોઈને છૂટ નથી, સ્ટુપિડ!

* બ્યુટી-પાર્લરમાં સુંદર સ્ત્રીઓ તૈયાર થતી હોય, એ જ વખતે ભૂકંપનો આંચકો આવે તો શું થાય?
- તારી ભલી થાય, ચમના...! પાર્લરમાં તૈયાર થતી જગતની કોઈપણ સ્ત્રી (એ વખતે) તો જોવી ય ન ગમે, એવી કદરૂપી દેખાતી હોય છે... ભલે આંચકા આવતા...! કોઈ પંખો ચાલુ કરો!
(મઘુકર પી. માંકડ, જામનગર)

* બલિનો હંમેશા બકરો જ હોય, કોઇ સિંહ કે વાઘ કેમ નહિ?
- આપણે ત્યાં એક સરદાર માટે પણ આ કહેવાય છે... સિંહ હોવા છતાં!
(રમીલા પ્રહલાદ રાવલ, રાજપિપળા)