એક ચિત્રકાર સુરતના
મારા એક આર્કિટેક્ટ મિત્રને પરાણે પોતાના પેઈન્ટિંગ્સ બતાવવાની જીદ લઈને બેઠો હતો. ‘બાપૂ’ને આવી
કોઈ કલા-બલામાં રસ નહિ. પેલો પેઈન્ટિંગ્સ બતાવતો જાય, પણ દરેક ચિત્રે પાછું એનું વિવરણ કરતો જાય. એને
ખબર નહોતી કે, કેવા સિંહના મોંઢામાં એ હાથ નાંખી રહ્યો છે! અડધો
કલાક સુધી બાપૂએ મૂઢમાર ખાધે રાખ્યો અને છેવટે વાર્તા પૂરી થઈ, એટલે વળતા હૂમલા સાથે કીઘું, ‘‘આપે આપની કલા બતાવી. મને જો કે, સમજણ નથી પડી, પણ હવે
હું મારું નવસર્જન બતાવું.’’
વ્યવસાયે બાપૂ
આર્કિટેક્ટ છે. એમણે થેલો કાઢ્યો.
‘‘જુઓ કલાકાર... સુરતમાં જાહેર શૌચાલયો બનાવવા મેં
કેટલીક ડીઝાઈનો તૈયાર કરી છે, એ બતાવું. એમાં મારી
કલા છે!’’ પેલાએ કીઘું, ‘‘હા, પણ મને આમાં કાંઈ ખબર ન પડે!’’
‘‘મને તમારામાં પડી’તી... ?’’
બાપુએ ડીઝાઈનો બતાવતા
કહ્યું, ‘‘આ શૌચાલયની વિશિષ્ટતા એ છે કે, એમાં દાખલ થવાનો દરવાજો છતમાંથી છે. બાકી બઘું
સજડબંબ... ! રસ્તે નીકળ્યા હો અને એકી લાગે તો, બહારથી
તમને એક સામાન્ય ઓરડી જેવું લાગે, પણ જવું જ પડે એમ
હોય તો સાઈડમાં નિસરણી આપી છે, એ ચઢીને છતમાંથી
નીચે ઉતરવાનું...’’
‘‘પણ... સાઈડમાં દરવાજાને બદલે ઉપર છતમાંથી દરવાજો
કેમ ?’’
‘‘બહુ ભીડ ન થાય ને... ? અમારા સુરતીઓને વિના મૂલ્યે મળતું હોય તો ટોઈલેટ
પણ જઈ આવે... !’’
‘‘ઓહ...’’
‘‘ને આ બીજું શૌચાલય જુઓ... આમાં દરવાજો ખરો, છત પણ ખરી, દિવાલો
પણ ખરી... પણ નીચે કાંઈ નહિ... નીચે કોરૂં ધાકોડ... સીધી તમને જમીન દેખાય.’’
‘‘તો... બેસવાનું કઈ રીતે ?’’
‘‘ઘરની બહાર નીકળેલા ભારતના અડધા ઉપરાંત નાગરિકોને
ઊભા ઊભા જ મૂત્ર-વિસર્જન કરવું પડે છે અને તે પણ કોઈના બંગલાના કમ્પાઉન્ડની
બહાર... ! સરકારો તો કાંઈ કરતી નથી. આમાં મારી કલા એ વાતમાં છે કે, ઊભા ઊભા ય નાગરિકનું ગૌરવ જળવાવું જોઈએ... માટે
નીચે સીમેન્ટના બે પગલાં-બગલાં જેવું ય કાંઈ રાખ્યું નથી, ને છતાં ય પ્રાયવસી રહે.’’
સાંભળ્યું છે કે, ચિત્રકારે એ પછી કોઈને પોતાના પેઈન્ટિંગ્સ
બતાવ્યા નથી.
ગુજરાતના વિકાસમાં
જાહેર-મૂતરડીના નૂતન સ્થાપત્યોની ક્યાંય વાત આવતી નથી. નવા ઓવરબીજો બને છે, નવી ઓવર-કે અન્ડર-મૂતરડીઓ ક્યાં બનતી જોઈ? જગ્યા મળે ત્યાં ધર્મોવાળા ય પોતાના
મંદિરો-દેરાસરો ઊભા કરી દે છે. કોઈ ટોઈલેટ બનાવે છે? મંદિરો
કરતા એની ઓછી જરૂરત છે? ભક્તોના ટોળેટોળા તો બન્ને સ્થાનો ઉપર સરખા જ
વળવાના છે. સંકુચિતતા વધારે પડતી હોય તો ‘બ્રાહ્મણીયું-ટોઈલેટ’, ‘જૈન-શૌચાલય’, ‘પટેલ-લોબી’, ‘વૈષ્ણવજન મૂત્રવિસર્જન ઘાટ’ કે ‘રોટરી-મૂત્રાલય’ અને ‘લાયન્સ-ફૂવારા
ઘર’ જેવા રૂપકડાં નામો આપો! પણ પૈસા બીજે ખર્ચો છો, તો આમાં તો થોડા જ નાંખીને મોટા નામ થવાના છે કે
નહિ? ધર્મસ્થાનોની દિવાલો દાતાઓના નામો ચીતરી-ચીતરીને
બગાડી મ્હેલો છો, તો અહીં તો મોકળાશ છે. મુલાકાતી ઊભો હોય ને દિવાલ
સામે ઊંચુ જુએ ને તમારા બાપાનું નામ વંચાય, એવી
સગવડ ઠાઠથી મળશે. ‘સ્વ. રણછોડભ’ઈ મફાભ’ઈ પટેલના સ્મરણાર્થે આ મૂતરડીને રૂા. ૧૫૧/-નું
દાન તેમના પુત્રો તરફથી મળ્યું છે.’’ કેવું
મનોહર-મનોહર લાગે, ‘‘શેઠશ્રી સકરચંદ શૌચાલય.’’ આપણાં પૈસે પોતાનું નામ રોશન કરતા ધારાસભ્યો એક
બાંકડો મૂકાવે, એમાં પોતાનું નામ મૂકાવવાનું ચૂકતા નથી.
બેશર્મીની હદ કહેવાય ને? પોતાના ખિસ્સાનો રૂપિયો ય પડતો નથી. ધારાસભ્યના
ફંડમાંથી તું બાંકડો મૂકાવે, એમાં તું કાળધર્મ
પામ્યો હોય, એવી તખ્તી તારા નામની બાંકડા ઉપર કેવી રીતે આવે? પણ એમાંના એકે ય ને એકી લાગતી નહિ હોય, નહિ તો ગુજરાતના આટઆટલા શહેરો જાહેર-મૂતરડીઓ વગર
તરસી રહ્યા છે, તો એકે ય પ્રધાન કે ધારાસભ્યનો કોઈ શૌચાલયનું
મંગળ-ઉદઘાટન કરતો ફોટો જોયો? મૂતરડી તો જાણે
વેશ્યા હોય, એમ ચારે બાજુથી નીગ્લેક્ટ થતી રહી છે. આ ધરતી ઉપર
એક પણ પાપ કર્યું ન હોય, એવા પવિત્ર માનવીથી માંડીને દાઉદ ઈબ્રાહિમ સુધીના
સજ્જનોને પણ ક્યારેક જાહેરમાં એકી કરવાની જરૂર તો પડે જ છે. આ દર્દ ન સહેવાય, ન કહેવાય એવું ભીષણ હોય છે, છતાં એ પાછું ‘દર્દ’ની વ્યાખ્યામાં આવતું નથી. રસ્તે હરતા-ફરતા
છેલ્લી પચ્ચીસ મિનિટથી એના ચેહરાનો ઊડી ગયેલો રંગ જોઈને કોઈ પણ કહી શકે કે, આ માણસ અત્યારે કોઈ મહા-યાતનામાંથી પસાર થઈ રહ્યો
છે. જો સાથે કોઈ હોય તો એની વાતોમાં એનું ઘ્યાન હોતું નથી. એ જુએ છે ક્યાંક ને
વિચારે છે કાંઈ બીજું. આવું તડપવામાં, એની
આંખોની ભ્રમર ઊંચી રહી જાય છે અને દાંત બીડાયેલા હોય છતાં હોઠ વારંવાર ઉઘાડબંધ થયે
રાખે છે. આ તબક્કે એને હસાવી શકાતો નથી. પસાર થતી કોઈ સેન્ટ્રોમાં વાગતું ગીત ‘‘લાગી છુટે ના, હોઓઓ’’ એની છાતીમાં બળતરાઓ ઊભી કરે છે. માનવ-જીવનનો એક આ
તબક્કો ભારે દયાજનક હોય છે. અહીં કોઈપણ પ્રકારની શૂરવીરતા, લાગવગ, કમ્પ્યૂટરની
માસ્ટરી, દાળ-ઢોકળી માટેનો પ્રેમ, મહાન વિચારક બટ્રાન્ડ રસેલ કે ‘‘મારૂં વનરાવન છે રૂડું વૈકૂંઠ નહિ રે આવું...’’ જેવા ગીતો તેને માનસિક કે શારીરિક રાહત આપી શકતા
નથી. અત્યારે એની ઝંખના વિશ્વશાંતિ, યુરેનિયમ, બાળકનું સ્મિત કે કોઈ નવયૌવના માટે નથી હોતી. એને
તો તલાશ છે કોઈ અંધારા ખૂણામાં આવેલા બંગલાની બહારની નિર્જન કમ્પાઉન્ડ-વોલની!
જ્યાં કોઈ તેનો તપોભંગ ન કરે, જ્યાં તેની ૨૦-૨૫
સેકંડની સમાધિ ઉપર ઢેખાળા ન ફેંકે. ટીવીની ડિસ્કવરી-ચેનલ ઉપર એ કાંઈ Mega Structures જોવા માંગતો નથી. એને તો નાનું તો નાનું, મનને ચિરંજીવ શાંતિ આપતું શૌચ-સ્થાપત્ય જોવું છે, જે એને કદાપિ National Geographic Channel ઉપર પણ જોવા મળશે નહિ. જાહેર શૌચાલયો કોઈ દેશમાં Mega Structures તરીકે પેશ નથી થતા. આ એક એવી ‘ધી એમેઝિંગ-રેસ’ છે, જેને નેટ-જીઓ પર પણ પ્રસારિત કરવામાં આવતી નથી!
કેવું રડવું આવી જાય
એવી આ દાસ્તાન છે? માણસ કોઈ ગુન્હો કરતો નથી, છતાં કેમ જાણે એ કોઈ ખોટું કામ કરવા ઊભો હોય, એમ ફફડતા હૈયે કમ્પાઉન્ડની દિવાલને અડીને પોતાની
કાર્યસિદ્ધિ હાંસિલ કરવી પડે છે. એના મનમાં કે તનમાં પાપ નથી, છતાં ચાલુ પ્રવાસે હમણાં કોઈ બૂમ મારશે, ‘‘હેય... શરમ નથી આવતી અહીં ગંદકી કરતા ?’’ તો કેમ જાણે કોઈનું ખિસ્સું કાપીને ભાગવાનું હોય, એમ કાચી સેકન્ડમાં મંગળદ્વારો ફટાફટ બંધ કરીને, બન્ને પગ ઉલાળીને, ઘટનાસ્થળ
છોડવું પડે છે. એની ગતિ રોકવા આવી, ‘કોણ
છે... ?’ની બી જવાય એવી બૂમ પાડનારને ઈશ્વર કદી માફ નહિ
કરે. સુઉં કિયો છો? (જો કમ્પાઉન્ડ અને દિવાલ તમારી ન હોય, તો કાંઈ ન કહેતા!)
રહી વાત મહિલાઓની.
મહિલાઓએ રાબેતા મુજબની જીદો કરીને અનામત-બિલ લવડાવ્યું, પણ મૂર્ખીઓને જેની પહેલી જરૂરત હતી, તે જાહેર-માર્ગો પરના મહિલા-શૌચાલયોની અછતનું કેમ
ન સૂઝ્યું ? શું એ રોડ પર આવી ગયેલી ભારતની હરએક બેસહારા
નારીની તાતી જરૂરિયાત નથી? સી.જી. રોડ પર શોપિંગ કરવા નીકળેલી બે-ત્રણ જણીઓ
એના વગર કેવી ચીમળાઈ જાય છે? (શું નથી ચીમળાતી? જવાબ : બહુ ચીમળાય છે. જવાબ પૂરો) પુરૂષો તો પછી
નફ્ફટ થઈને કોઈ બી ખૂણો ગોતી લે છે, આમનું
શું ?
ઈશ્વરનો પાડ માનો કે, શૌચાલયોની આવી કારમી અછત છતાં પુરૂષો બાળ-સ્વરૂપ
ધારણ કરતા નથી... !
સિક્સર
આઈપીએલ–માં રમનારો એક પણ ક્રિકેટર ધો. ૧૦ કે ૧૨–મા ૯૨–ટકા
માર્ક્સ લાવ્યો નથી.
મમ્મીઓ-પાપાઓ...
વિચારો !