Search This Blog

29/01/2012

ઍનકાઉન્ટર 29-01-2012

૧. હું એક આરામપ્રિય ગૃહિણી છું. પતિ નોકરી કરીને ઘેર આવે, ત્યારે એમની પાસેકેટલું કામ કરાવવું જોઈએ ?
- પૂજ્ય મમ્મીનું લગ્નજીવન યાદ કરી જુઓ... એમના જ નકશે-કદમ પર ચાલવાનું છે !
(મીના નાણાવટી, રાજકોટ)

૨. આપના ઍનકાઉન્ટરના પુસ્તકો ઉપર છપાયેલા ફોટા આપના જ છે ?
- સારો દેખાતો હોઉં તો મારા ફોટા સમજવાના... ને અશોક દવે જેવા દેખાતા હોય, તો અમારી બાજુવાળાના સમજવાના !
(ભાવેશ માઘાણી, રાજકોટ)

૩. સોનિયા ગાંધીની જગ્યાએ હવે પછી કૉંગ્રેસ-પ્રમુખ કોણ આવશે ?
- ..હશે તો કોક બુદ્ધિશાળી !
(યોગેશ કૃ. દલાલ, વડોદરા)

૪. આંખ આડા કાન એટલે શું ?
- ચિદામ્બરમ.
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

૫. લગ્નના ફેરામાં વરરાજાને પહેલા રાખવાનું કારણ શું ?
- લગ્ન પછી બઘું એની પીઠ પાછળ જ થવાનું છે, એ બતાવવા.
(અમી જે. પારેખ, મોરબી)

૬. કોઈ માં-બાપ પોતાનો દિકરો રાજકારણી બને, એવું કેમ ઈચ્છતા નથી ?
- સંસ્કારી હોય છે માટે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

૭. શ્રીકૃષ્ણ ગોપીઓને લઈને રમવા જતા, તેને રાસલીલા કહેવાય...તમે જાઓ તો ?
- ત્રાસલીલા.
(મુનિરા બારીયાવાલા, ગોધરા)

૮. મેં તમને ભૂતો વિશે અનેક સવાલો પૂછયા, છતાં તમે એકે ય નો જવાબ નથી આપ્યો.. ડર ?
- પહેલા એ તો ખબરપડવી જોઈએ ને કે, પૂછનાર.. ?
(ફાતેમા મુર્તુઝાભાઈ નોબલ, ખંભાત)

૯. કેટલાક જવાબો તો તમારે અનિચ્છાએ પણ આપવા પડતા હશે ને ?
- જવાબ મળી ગયો ?
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)

૧૦. મારી સાથે દગો થયો છે. હું મારી પ્રેમિકાને બદનામ કરી બદલો લેવા માગું છું, મતલબ કે, એની સાથે લગ્ન કરી લેવા માંગું છું.
- જીવનમાં જેને પ્રેમ કર્યો હોય, એની સાથે બદલો લેવાનો વિચાર પણ કેમ આવે ? ગુસ્સો થઇ શકે, નફરત નહિ.
(પરમેશ્વર માંકડ, સુરત)

૧૧. લૈલા-મજનૂ, શીરી-ફરહાદ, શેણી-વિજાણંદ જેવા પ્રેમીઓએ સાચો પ્રેમ કેવી રીતે કર્યો હશે ?
- ઉધાર લઇ લઇને.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

૧૨. હકીનામ સાચું છે કે તમે પાડયું છે ?
- અશોક બાબતે તમને કોઇ શંકા થતી નથી ?
(રીટા/ફાલ્ગુની/ઓમ, જૂનાગઢ)

૧૩. આપને એક મિનીટ માટે સંજય-દ્રષ્ટિમળે, તો શું જોવાની ઇચ્છા રાખો ?
- મારી ગાડીની ચાવી... જે સવારથી મળતી નથી.
(શ્રીમતી બિંદુ દોશી, બરોડા)

૧૪. કાગડાને બહુ સ્માર્ટ ગણવામાં આવે છે, તો પછી કોયલ શેની એના માળામાં ઇંડા મૂકી જાય ?
- કાગડાના મૂડી રોકાણો ચારે બાજુ હોય.. સંબંધો સાચવવા પડે, ઈ !
(હેમંત એસ. બારૈયા, કાવઠ)

૧૫. આટઆટલા મંદિરો-દેરાસરો બનાવાયા છે, પણ જાહેર ટોઇલેટસ કેમ કોઇ બનાવતું નથી ?
- એ નહિ બનાવનારાઓ એમ માનતા હોય છે કે, ભગવાનોને તો કદી ત્યાં જવું જ પડતું ના હોય ને !
(વિસનજી એન. ઠક્કર, મુંબઈ)

૧૬. શકૂનિ જેવો ચાલબાજ શરદ પવાર વડાપ્રધાન તો નહિ બની બેસે ને ?
- હજી રાહુલ બાપા પરણે, એમને ઘેર ઘોડીયા બંધાય ને એમના છોકરાં-છૈયા થાય ત્યાં સુધી તો કોંગ્રેસમાં બીજો કોઇ વડો પ્રધાન બને, એવી શકયતા નથી.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૧૭. આપણા ક્રિકેટરોના ઑસ્ટ્રેલિયામાં ધબડકા વિશે શું કહેવું છે ?
- આપણા ક્રિકેટરો એટલા નબળા નથી, જેટલા પુરવાર થયા છે. પણ તોય, ત્યાં જે રમાયું, તે ફકત ક્રિકેટ નહોતું.. ક્રિકેટ સિવાય ઘણું બઘું હતું, જે કદી બહાર નહિ આવે !
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)

૧૮. કોંગ્રેસ હોય કે ભાજપ.. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને બસ, ભ્રષ્ટાચાર. કોઇની બા ખીજાતી નહિ હોય ?
- એમની તો બાઓ ય લાંચમાં આવી હોય !
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

૧૯. કાન ખોલીને સાંભળી લેવાનીસૂચના કયા સંદર્ભમાં અપાય છે ?
- સાંભળવા માટે કાન જ ખોલવા પડે.. બીજું કાંઇ પૉસિબલ નથી માટે !
(મઘુકર પી. માંકડ, જામનગર)

૨૦. સંબંધોમાં કૃતિમતા કેમ આવતી હશે ?
- સંબંધ ટકી રહે માટે.
(પંકજ એન. દફતરી, રાજકોટ)

૨૧. ૨૯ ફેબ્રુઆરીએ ચાર વર્ષ પછી આપનો બર્થ-ડે આવી રહ્યો છે. મતલબ તમારી ૧૫-મી વર્ષગાંઠે ષષ્ઠીપૂર્તિ ?
- ૧૫-વર્ષના બાબાની તો ષષ્ઠીપૂર્તિ ના હોય ને ? હું ૬૦-નો થઇશ, પછી જોઇશું.

૨૨. ભારતને આઝાદી આપતા પહેલા ચર્ચિલે કહેલું કે ભારતના નેતાઓ દેશને સાચવી નહિ શકે. તમે સુઉં કિયો છો ?
- દેશ કાંઇ એકલા નેતાઓથી નથી બનેલો.. આપણએ બધા ય છીએ. જેવો છે, તેવો આપણો ભારત દેશ બીજા કોઇપણ દેશ કરતા વઘુ મહાન છે.
(દિવાક વહિયા, અમદાવાદ)

૨૩. બાબા રામદેવ પર સ્યાહિ ફેંકાઈ... તમારો પ્રતિભાવ શું છે ?
- એ દિવસો દૂર નથી કે પ્રજા સાથે છેતરપિંડી કરનારાઓ ઉપર ગોળીઓ પણ છોડાય !
(મિતા અલ્પેશ મેહતા, સુરત)

૨૪. બચ્ચને બિગ-બીકહેવાય છે, તો અશોક દવેને બિગ-એકેમ કહેવાતું નથી ?
- હજી તો સ્મોલ-એથી ય શરૂઆત થઇ નથી.. લોકોના મોંઢાના કાંઇ તાળા ખોલાય છે, ભાઈ ?
(રવીન્દ્ર નાણઆવટી, રાજકોટ)

૨૫. વિશ્વમાં શાંતિ કયારે સ્થપાશે અને કેવી રીતે ?
- ૩૦મી  ફેબ્રુઆરીએ.
(હિરલ એચ. દોશી, વઢવાણ)

૨૬. બુદ્ધિશાળી અને બેવકૂફ રાજકારણી વચ્ચે શું તફાવત ?
- બેવકૂફો રાજકારણી ન હોય !
(ગૌરી એ. વાળંદ, મુંબઇ)


25/01/2012

મુઝકો અપને ગલે લગા લો...

આપણા દેશમાં હજી ભેટવા-પઘ્ધતિ ઉપર ખાસ કોઈ કામ થયું નથી. ભેટવું એટલે સારા શબ્દોમાં આલિંગન અને ઈંગ્લિશમાં કહેવાય હગ’ (Hug). બે વ્યક્તિઓ એકબીજાની નજીક જઈને છાતીથી છાતી મિલાવે અને તરત ઉખડી જાય, એને ભેટવું કહે છે. આપણા દેશમાં લોકો એકબીજાને મળે ત્યારે હાથ જોડીને નમસ્કારકહેવાતું, પણ અંગ્રેજો આવ્યા એટલે હાથ મિલાવવાની ફેશન શરૂ થઈ. હજી હાથો પુરૂષ પુરૂષ પૂરતા જ મિલાવાય છે. પુરૂષ સ્ત્રી સાથે હાથ મિલાવે, એ હજી આ ૨૦૧૨-ની સાલ સુધી પણ સમાજ બહુ સ્વીકારતો નથી, એટલે પુરૂષ-પુરૂષને ભેટે એ તો જાવા દિયો... પતિ-પત્ની સિવાયના સ્ત્રી-પુરૂષ એકબીજાને ભેટીને મળે, એમાં તો આજુબાજુ ઊભેલી બઘ્ધી બાઓ ખીજાય!

કમનસીબે, આપણા ગોરધનો પણ એમના ભાગે પડતી આવેલી વાઈફોને નૉર્મલી ભેટવાનું પસંદ કરતા નથી. નૉર્મલી શું, આખી લાઇફમાં ઘણા તો એકબીજાને ભેટ્યા જ હોતા નથી. કેવું ખરાબ કહેવાય? એમને એમ પણ ન થાય કે, સમાજ શું કહેશે? લોગ ક્યા કહેંગે?

એ તો ભલું હોજો આપણી હિંદી ફિલ્મોનું કે, એમાં હીરો-હીરોઇનો જરીક અમથા નવરા પડે, ત્યારે ભૂલ્યા વગર એકબીજાને ભેટવાનું ચૂકતા નથી અને થીયેટરમાં બેઠા બેઠા આપણે શીખી શક્યા છીએ કે, કોકને ભેટવું હોય તો આમ ભેટાય! ફિલ્મોએ આપણને ઘણું બઘું શીખવ્યું છે, પણ એ શીખેલામાંથી જાહેરમાં જેટલું બતાવી શકાય, એટલા પૂરતી જ વાતો અહીં કરવી છે.

કહે છે કે, દેવ આનંદને ભેટભેટ કરવાની બહુ આદત હતી. એની તમામ ફિલ્મોમાં એ હીરોઇનને ભેટ્યા વિના હેઠી ન મૂકતો. એ જોઈને આપણે પણ થોડું થોડું શીખ્યા. ભેટતી વખતે આપણા બન્ને હાથ પેલીના ખભા ઉપરથી પાછળ ભરાઈ દેવાના કે એના બન્ને હાથ નીચેથી ભીંસ મારવાની, તેની બધાને જાણકારી ન હોવાથી ઘણા હસબન્ડોઝ કોઈ ઝાડ ઉપર કાગળીયું ઊડતું ઊડતું આવીને ચોંટ્યું હોય, એમ ભેટવા જાય છે. અમે અનેક યુવાનોને ભેટવામાં ભૂલો કરતા જોયા છે. સાચું ભેટવું એને કહેવાય કે, ભેટી લઈને તરત જ થુપ્પિસકહીને છુટી જવાનું હોય (યાદ હોય તો, નાનપણમાં આપણે રમતા રમતા બ્રેક લેવા આપણા હાથની હથેળી ચૂમીને થુપ્પિસબોલતા, જેથી રમત અટકી જાય અને આપણે છુટાં. પછી પાછા તાજામાજા થઈએ, ત્યારે ફરી ખેલ ચાલુ કરી દેવાનો) કમનસીબે, મોટા થયા પછી ભેટવામાં આ નિયમ કોઈ લાગુ પાડતું જ નથી અને, ‘ભેટ્યા-પીસ-ભેટ્યા..એમ કહીને આઘો જ હટતો નથી. ભલે એમાં આપણાં ફાધરનું તો શું જાય, પણ આપણને એટલી તો ખબર પડે ને કે, એ લોકોના ફાધરો ય ભેટતા નહિ શીખ્યા હોય.

કહે છે કે, આલિંગન એકબીજાની પર્સનાલિટી ઍક્સચૅન્જ કરવાની ઉત્તમ રીત છે. મેં તુમ મેં સમા જાઉં, તુ મુઝ મેં સમા જાઓ’, એ ફક્ત પ્રેમલા-પ્રેમલીને જ લાગુ પડતી વાત નથી. મારા શુઘ્ધ અને સારા વિચારો તમારામાં સમાઈ જાય ને તમારી પાસે સારા વિચારો સ્ટૉકમાં પડ્યા હોય તો આ બાજુ આવવા દો. ધૅટ્‌સ ઑલ, ઈવન, કોકની સાથે હાથ પણ મિલાવીએ છીએ, ત્યારે હૃદયના એ ભાવો મૌનથી સીધા દર્શાવી શકાય છે, જે શબ્દોથી પૉસિબલ હોતા નથી. હાલ મિલાવો, એટલે કશુંક ઍક્સચેઇન્જ ચોક્કસ થાય છે. અંગ્રેજીમાં સરસ શબ્દ છે, ‘Warmness’. એકબીજાને હુંફ મળે છે, ફક્ત હાથ મિલાવવાથી, તો વિચાર કરો કે ભેટવાથી તો કેટલા મોટા જથ્થામાં હૂંફો મળે? અલબત્ત, પતિ-પત્ની સિવાયના સ્ત્રી-પુરૂષો એકબીજાને ભેટીને મળે, એ થીયરીનો હું કોઇ ચાહક નથી. ખુદ મને પણ કોઈ પુરૂષને ભેટવું તો ઠીક, અડવું ય ગમતું નથી. પુરૂષ જેવા પુરૂષ થઈને કોઈ પારકી સ્ત્રીને ભેટાય કે નહિ, એ મુદ્દે હું સહેજ પણ મોઢું ખોલવા માંગતો નથી કારણ કે, હું બીકણ માણસ છું. ઘરની બહાર નીકળ્યા પછી રોજ પરમ શાંતિનો અનુભવ કરતો યુવાન છું, પણ ફફડાટ ઘરની બહાર નીકળ્યા પછી જ વધારે થાય છે કારણ કે, છેલ્લા ૩૫-વર્ષથી આકાશમાં એક સમડી મારી ઉપર સતત આંટા મારી રહી છે. એ મને જોતી જ હશે, એવો બારમાસી ફફડાટ રહે રાખે છે. ભેટવા-ફેટવાની વાત તો બહુ દૂરની છે, હું તો ઘરની બહાર નીકળ્યા પછી, જ્યાં સુધી પર-સ્ત્રીને માતા સમજતો નથી, ત્યાં સુધી મનને શાંતિ ને ચૈન પડતું નથી. અચાનક કોક ઓળખીતી મહિલા રસ્તામાં મળી જાય તો પેલી સમડી જોઇ જશે, એની બીકોમાં ને બીકોમાં એ મહિલા ભારતની સર્વોત્તમ સુંદર સ્ત્રી હોય તો પણ ઍટ ધી મોસ્ટ... હું એને જય શ્રી કૃષ્ણકહીને નીકળી જઉં છું. ભલે પછી એના ગયા પછી હું દુઃખી ચહેરે અને ખોખરા કંઠે મનમાં ગાતો હોઉં, ‘તૂટે હુએ ખ્વાબોં ને, હમ કો યે સીખાયા હૈ, દિલ ને, દિલ ને જીસે પાયા થા, આંખોંને ગંવાયા હૈ... હોઓઓઓ’. આ લાંબુ બચાવનામું એટલા માટે રજુ કરવું પડ્યું કે, પુરૂષ અને સ્ત્રીએ એકબીજાને મળતી વખતે ભેટવું જોઈએ કે નહિ, તે અંગે મારા બૃહદ વિચારો તમને બધાને તો ઠીક... પેલી સમડી સુધી પહોંચે, એટલી જ ભાવના છે.

મારી આ દુઃખભરી દાસ્તાન માટે કોઈકે મને સારા ડૉક્ટરને બતાવવાનું કીઘું પણ, આપણને એમ કે, જે ગામ જવું નહિ એનું મોબાઈલ-કનેક્શન લેવાથી શું ફાયદો? ...કોઈ પંખો ચાલુ કરો!

ઇન ફૅક્ટ, આપણી વાત પતિ-પત્ની વચ્ચેના સંબંધો પૂરતી જ સીમિત છે. હું તો ઘેરઘેર ફરીને લોકોના દરવાજાના કાણામાંથી જોવા નથી ગયો પણ એટલી ખબર છે કે, આ જમાનામાં કોઈ હસબન્ડ-વાઇફ એકબીજાને ભેટતા નથી.. એ એમના બ્લડમાં જ નથી. બ્લડના બીજા ઘણા ઊભરા આડેધડ આવતા હોય, એની સાથે આપણને લેવા-દેવા નથી, પણ કહે છે કે, લગ્નના કેટલાક વર્ષો પછી ભલભલાના જીવનમાં બેસ્વાદપણું કે તનાવ આવતા હોય છે. આપણે ત્યાં તો એકબીજાને આઈ લવ યૂકહેવાનો જ રિવાજ નથી, ત્યાં ભેટવાનું તો દૂરની વાત છે. કોઈ મહાન તત્વચિંતક અશોકજી બાપુએ કહ્યું છે કે, ‘લગ્નજીવનમાં પતિ-પત્ની એકબીજાને રોજ આઈ લવ યૂકહેવાની અને કહી દીધા પછી એકબીજાને મીઠું આલિંગન આપવાથી તનાવ ઓછો થાય છે. આ બન્ને કસરતો કરવાથી જે ગોરધન જૂના મોબાઈલ જેવો લાગતો હોય, એ વહાલો લાગવા માંડે છે. હું ય જાણું છું કે, પત્ની માટે ગોરધનને આઇ લવ યૂ-ફાઇ લવ યૂકહેવું આસાન નથી, પ્રૅક્ટિસ છુટી ગઈ હોય ને? પણ ગોરધન તો ઘરની બહાર નીકળ્યા પછી... છેવટે મનમાં ય રોજની બસ્સો સ્ત્રીઓને આઇ લવ યૂકહેતો ફરતો હોય, છતાં એની બા ના ખીજાતા હોય, એટલે એ તો કોઈપણ જાતનો ભય રાખ્યા વિના વાઇફને એક આવડું અમથું આઈ લવ યૂના કહી શકે? (જવાબ : જરૂર કહી શકે, જરૂર કહી શકે... એ ના કહે તો અમે તૈયાર છીએ! જવાબ પૂરો)

એકબીજાથી છાનેખૂણે દૂર ભાગતા પતિ-પત્નીઓ વચ્ચેની ધેટ સો-કોલ્ડ... દૂરી ઘટાડવાનો આ જ એક ઉત્તમ ઉપાય છે. માનો તો ઠીક છે, નહિ તો ભોગ તમારા...!

સિક્સર
હૉસ્પિટલમાં ખબર કાઢવા આવનારાઓ ભૂલ્યા વગર એક ઑફર કરતાં જાય છે, ‘કાંઈ પણ કામકાજ હોય તો ચોક્કસ કહેવડાવજો, હોં. સહેજ પણ સંકોચ રાખતા નહિ...
કામકાજમાં એમને આટલા કામો સોંપી શકાય. 
(૧) કામકાજમાં તો બસ... હૉસ્પિટલનું બિલ ભરવાનું છે. 
(૨) બાપુજીના કપડાં ચાર દિવસથી ધોયા વિના પડ્યા છે... ઘેર કોઈથી થાય એવું નથી. બસ, આ થોડાં કપડાં લઈ જશો
(૩) આ સામે ઉભેલી નર્સનો ગોરધન મારા ઉપર બહુ વહેમાય વહેમાય કરે છે... એને જરા સમજાવી આવશો?

23/01/2012

ઍનકાઉન્ટર : 22-01-2012

* તમે શર્મીલા ટાગોરની ફિલ્મોના ચાહક હતા, પણ પટોડી ગૂજરી ગયા તેના બેસણાંમાં કેમ નહોતા ગયા ?
- વહેમને કારણે કોઇ કબરમાંથી ઠેકડો મારીને બહાર આવે, એ સારૂં ન લાગે માટે.
(મુનિરા હુસેન વ્હોરા, ગોધરા)

* વાચકો તમારો મોબાઇલ નંબર માંગે છે, પણ ઘરનો લૅન્ડલાઇન નંબર કેમ નથી માંગતા ?
- ઘરનો ફોન સીધો હકી ઉપાડે..... એવું રિસ્ક કોણ લે ?
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

* તમે તમારા દુશ્મનોને હંફાવવા શું કરો છો ?
- દરેક દુશ્મન સાથે ક્યારેક તો ભેગું થવું પડશે, એટલે આજે મારૂં સૌજન્ય છોડતો નથી. એ વખતે મારે નીચે જોઇને ઉભા રહેવું નહિ પડે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* મને દરેકની પત્નીમાં સોક્રેટીસની પત્ની દેખાય છે. તમને બીજાની પત્નીમાં શું દેખાય છે ?
- દેખાવમાં ઠીકઠીક હોય તો એ ‘બીજાની’ પત્ની દેખાય છે, નહિ તો માતા... !
(તુષાર નાણાવટી, રાજકોટ)

* ગુજરાતી સાહિત્યમાં તમારૂં પ્રદાન શું છે ?
- ગુજરાતી સાહિત્ય પરિષદની આજીવન સભ્ય ફી.
(શશીકાંત પીઠડીયા, અમદાવાદ)

* જીવનનો શ્રેષ્ઠ આનંદ તમે ક્યારે માણ્યો હતો ?
- બે કલાકથી નાકમાં ભરાઈ ગયેલો ઠળીયો બહાર નીકળ્યો ત્યારે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* હસે તેનું ઘર વસે, પણ વસે પછી કેટલા હસે છે ?
- ઘણા ખસે પણ છે... ને બીજે ઠેકાણે ફસે પણ છે !
(ચીરાગ કે. બેલડીયા, દામનગર)

* ‘ઍનકાઉન્ટર’ પોસ્ટકાર્ડને બદલે SMS પર રાખો તો કેવું ?
- પગાર કૅશમાં લેવો પડે... SMS પર લેવાય ?
(બુરહાન/શાહિન લક્ષ્મીધર, રાજકોટ)

* તમે પ્રવચન આપવાના હો, એ સમારંભમાં કોઇ સુંદર સ્ત્રીને જોઇને કેવો પ્રતિભાવ આપો છો ?
- સ્ત્રી સુંદર હોય, તો મારા પ્રવચનમાં આવે જ શું કામ ? બુઘ્ધિમાન સ્ત્રીઓ બેશક આવે.
(કેતન/ સી.પી./ હિરેન પટેલ, અમદાવાદ)

* આટલી બધી ધાર્મિક ચૅનલો ટીવી પર આવે છે, છતાં પ્રજા સુધરતી તો નથી... ઉપરથી ઘણા મહારાજો બગડી ગયા છે, તેનું કારણ શું ?
- કવિ ઘૂની માંડલીયાનો શે’ર છે :
‘કહો જગમાં ક્યાંયે છે તટસ્થતા ? 
હકીકતમાં શ્રઘ્ધા કાં સંશય હશે, 
અચાનક ચરણ કાં અટકયાં ‘ઘૂની’, 
શિવાલય કાં તો સુરાલય હશે.’
(સાધના પી. નાણાવટી, જામનગર)

* કઈ ચીજવસ્તુમાં ભેળસેળ નથી થતી, તે જણાવશો ?
- અઢી-ત્રણ વર્ષ સુધીના બાળકના સ્માઈલમાં.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

* પ્રાચીન ભારતમાં લગ્ન પૂર્વેના સૅક્સ-સંબંધો સ્વીકાર્ય હતા, તો આજે એનો આટલો વિરોધ કેમ થાય છે ?
- ‘હે રાંદલ માતા.... આપ જેમ સહુને ફળ્યા, તેમ આમને પણ ફળજો.’
(ભરત ડી. સાંખલા, ડીસા)

* કન્યાને આશિર્વાદ આપવા ‘અખંડ સૌભાગ્યવતી’ કહેવાય છે, તો વરરાજા માટે શું કહેવાય છે ?
- ‘હખણો રહેજે.’
(શૈલેષ બામણીયા, વીરપુર)

* મોટા ભાગના પુરૂષો સ્ત્રીઓની આંખમાં આંખ મિલાવીને કેમ નથી જોતા ?
- પર્યટનના વઘુ મોહક દ્રષ્યોની એમને ખબર હોય છે, માટે !
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* અમારે શાક-માર્કેટમાં સવારે ગાયું ને સાંજે બાયુંનો ત્રાસ છે. તમારે કેમનું છે ?
- અમારે તો લીલા લહેર છે... સવારે પણ ગાયું ને બદલે બાયું જ હોય !
(અરૂણ પારેખ, ભાવનગર)

* ડિમ્પલ કાપડીયાની કઇ ફિલ્મની સીકવલ જોવાનું તમે પસંદ કરશો ?
- એની ફિલ્મની નહિ... એની પોતાની સીકવલ જરા... ઠીક રહેશે.. !
(અજય વ્યાસ, બિલખા)

* પગે લાગવાને બહાને સ્વામીઓના ચરણસ્પર્શ કરતી સ્ત્રીઓનો ઇરાદો શું હશે ?
- પોતાના ગોરધન, સસરા અને પિતા સિવાય અન્ય કોઇપણ પુરુષના ચરણસ્પર્ષ કરતી કોઇપણ સ્ત્રી મારી નજરમાં આદરપાત્ર હોતી નથી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* મેહમાન જમવા આવવાના હોય, તે જ દિવસે કામવાળી ન આવે, તો ગુસ્સો પત્નીને આવે કે ગોરધનને ?
- પત્નીને ગુસ્સો આવવાનો સવાલ જ ઊભો થતો નથી... કમ-સે-કમ, એને તો વઘુ સારો ચેહરો જોવા મળશે !
(મઘુકર પી. માંકડ, જામનગર)

* ગાંધી ટોપી અને અન્ના ટોપી વચ્ચે ફરક શું ?
- મહાત્મા ગાંધી સરીખા મહામાનવની સરખામણી ફકત શ્રી રામ જેવા યુગપુરૂષ સાથે જ થઇ શકે... ઉપવસોને બેઇજ્જત કરનારાઓ સાથે નહિ !
(હસમુખ ડી. પરમાર, નાડા-જંબુસર)

* મારી પ્રેમિકાને મળવા જઉં તો એની મમ્મી ચંપલ બતાવે છે, તો મારે શું કરવું ?
- એની મમ્મીની નિયત સાફ લાગતી નથી.
(કમલેશ પરમાર, અંકલેશ્વર)

* જીવનમાં તમે ક્યારે ય કડવો ધૂંટડો પીધો છે ?
- દૂધ સમજીને ટેસથી ચૂનાનું પાણી ગટગટાવી ગયો હતો ત્યારે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* તમે ટિવટર કે ફૅસબૂક પર કેમ નથી ?
- હું હજી એટલો કિંમતી માણસ થયો નથી.
(હર્ષલ બી. અંજારીયા, રાજકોટ)

* આજકાલની પુત્રવઘૂ સાસુમા કહેવાને બદલે ‘મમ્મી’ કહીને બોલાવે છે, તો મને સારૂં લાગે છે. તમને કેવું લાગે છે ?
- એ તમને મમ્મી કહે, એ મને સારૂં લાગે છે. મને જરા ય ખોટું નથી લાગ્યું.
(મોના જગદિશ સોતા, મુંબઈ)

* કોઈ યુવતી મને ‘અંકલ’ કહે તે મને નથી ગમતું. કોઇ ઉપાય ?
- તમને ‘ડૅડી’ કહે, એ તો જરા ય સારૂં ન લાગે ને ?
(જયેશ અંતાણી, ભાવનગર)

* દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર.. એ ત્રણેમાંથી તમે કોને શ્રેષ્ઠ ગણો છો ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર રાજ કપુર.
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

* ચેતન ફૂલોનું જીવન ઝૂંટવીને નિશ્ચેતન મૂર્તિ પર ચઢાવવા.. એ ભક્તિ કે અંધશ્રઘ્ધા ?
- સંસ્કારી લોકો ફકત ખરી પડેલા ફૂલો પરમેશ્વરને ચઢાવે છે.
(નેહા વાળા, સુરેન્દ્રનગર)

13/01/2012

‘દિલ ને ફિર યાદ કિયા’ (’૬૬)

ફિલ્મ : ‘દિલ ને ફિર યાદ કિયા’ (’૬૬)
નિર્માતા : રાવલ બ્રધર્સ
દિગ્દર્શક : સી. એલ. રાવલ
ગીતો : જી. એલ. રાવલ
સંગીત : સોનિક-ઓમી
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, નૂતન, રહેમાન, જીવન, આઇ.એસ. જોહર, સુંદર અને રણધીર 

ગીતો 
૧. કલીયોં ને ધૂંઘટ ખોલે, હર ફૂલ પે ભંવરા બોલે –મુહમ્મદ રફી
૨. લો ચેહરા સુર્ખ શરાબ હુઆ, આંખોને સાગર –મુહમ્મદ રફી
૩. દિલને ફિર યાદ કિયા, બર્ક સી લહરાઈ હૈ રફી- સુમન- મુકેશ
૪. આજા રે, પ્યાર પુકારે, નૈના તો રો- રો હારે –લતા મંગેશકર
૫. હમને જલવા દિખાયા તો જલ જાઓગે મન્ના ડે- આશા ભોંસલે
૬. યે દિલ હૈ મુહબ્બત મુહબ્બત કા પ્યાસા, ઇસ દિલ કા તડપના –મુકેશ
૭. મૈ સુરજ હું તું મેરી કિરન, સંગ તેરા રહે આશા- રફી
૮. હમે તો ખુશી હૈ, તુમ્હે દિલ દિયા, મુહબ્બત કા અબ–આશા ભોંસલે
૯. દેખે રે લોગો કિતની જાલીમ 

 એ કેવો હોપલેસ જમાનો આવી ગયો હતો કે, છેલ્લા ૨૦ વર્ષથી ચાલ્યું આવતું, મસ્તમજાનું ફિલ્મી સંગીત ’૬૬ની સાલ પછી મરવા પડ્યું હતું અને કોઈ એનો લેનાર નહિ ! શંકર- જયકિશન, નૌશાદ, ઓ. પી. નૈયર, મદન મોહન, ઇવન રવિ કે સચિનદેવ બર્મન- બધા અચાનક ખલાસ થવા માંડ્યા હતા. બધા વચમાં વચમાં એકાદનું હિટ ગીત આપી દે, લેકીન... કીસિ મેં અબ વો બાત નહિ રહી થી, જો પહેલે થી !.. ક્યા ખયાલ હૈ ? કલ્યાણજી- આણંદજી પાસેથી તો અમથી ય કોઈ આશા રાખતું નહોતું, પણ લક્ષ્મીકાંત- પ્યારેલાલ પાછલા બારણેથી ઘણી મઘુરી- મઘુરી ધૂસ મારી રહ્યા હતા, એમના ‘પારસમણિ’ કે ‘દોસ્તી’ના દિલડોલ સંગીત પછી ! 

પણ ઓવરઓલ... સહુના મનમાં ઠસી ગયું હતું કે, હવે સંગીતનો એ જમાનો ગયો ! હવે પહેલા જેવા ગીતો નહિ બને. મોટાઓ પાસેથી આશા રખાય એમ નહોતું ને નવા આવનારાઓ ખાસ હતા પણ નહીં અને એ આવ્યા, તેમાં કોઈ દમ નહતો. 

... અને તો ય, સંગીતકારોમાં એક નવી નક્કોર જોડી સોનિક-ઓમીની એવી ઝન્નાટ આવી કે, આ જૂના સંગીતકારોમાં ય સોપો અને આપણા જેવા ચાહકોને જલસો પડી ગયો કે, ‘ચાલો... નાવ આખું ડૂબ્યું નથી. કોક તો પતવાર સંભાળનાર આવી ગયું છે !’ રેખા- નવીન નિશ્ચલની સૌથી પહેલી ફિલ્મ ‘સાવન-ભાદો’ના પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવા ગીતો સફળ બનવા માંડ્યા ને જે કાંઈ ખૂટતું હતું તે આઉટરાઇટ સંગીતપ્રધાન ફિલ્મની ખોટ. આ નવા સંગીતકારોએ ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’ના ખૂબ્બ ગમે એવા ગીતોથી પૂરી દીધી. રફી સાહેબ પાસે ચારેય બાજુથી કમાલો આ બન્નેએ કરાવી ને કમ- સે-કમ એક ટ્રીપલેટ ગીત તો એવું બનાવી નાંખ્યં કે, આજે ૪૫ વર્ષો પછી ય ફિલ્મ- સંગીતના કોઈ પણ કાર્યક્રમમાં એ ગવાય છે, ‘દિલ ને ફિર યાદ કીયા, બર્ક સી લહેરાઈ હૈ’ (અમે સ્કૂલમાં એટલે ‘બર્ક’ને બદલે ‘બર્ફ...’ ‘બરફ’ સમજતા હતા... આ તો મોટા થયા પછી બાજુવાળાના મકાન ઉપર વીજળી ખાબકી ત્યારે ખબર પડી કે હૃદયમાં કોઈની યાદ ‘બર્ક’ એટલે વીજળીની માફક ખાબકી લાગે છે. અમને અર્થની ખબર પડી ગઈ, પણ હૃદયમાં વીજળા- ફીજળા ફરી વળે એવી કોઈ યાદો અમારા પૂરતી તો શરુ જ નહોતી થઈ... સામે કોઈ પાત્ર તો ઉપસ્થિત હોવું જોઈએ ને ? જેની પાસે પ્રેમોમાં હાથ લંબાવીએ, એ આપણને છોકરૂં સમજીને કાઢી મૂકે, ‘‘જા ટેણિયા ઘેર જા... નહિ તો બા ખીજાશે !’’ 

આવા ને આવા જાકારાઓને લીધે અમે કોઈ કલીએ ધૂંઘટ ખોલ્યો હોય તો પણ ભમરાની માફક એ ફૂલ ઉપર ઉડાઉડ કરી શકતા નહોતા...ને કરવા જઈએ ત્યાં આપણાથી વહેલો બીજો કોઈ પહોંચેલો હોય... ધીંગાણાનું કાંય ધાયરૂં થાય છે ? 

પણ થઉં થઉં કરતા પ્રેમમાં આ કોઈ ત્રીજાનું પહોંચવું અમને રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’માં ય પરવડતું નહોતું કોઈ ત્રીજો પથરો નાંખવા આવે, એ બર્દાશ્તગીની હદોની બહાર હતું... (એ વાત જુદી છે કે, ત્રીજો તો બહુ પછીની મોંકાણ છે... અમારી પાસે તો ત્રિકોણ પૂરો કરવા માટે આવશ્યક એવું બીજું એટલે કે ‘બીજી’ય નહોતી) પણ મળે ત્યારે બબ્બે કલાકની રાહો જોયા પછી પેલીને મકાનને ધાબે (અગાસી ઉપર) બોલાવીએ ને હજી તો માંડ સેટ થયા હોઈએ, ત્યાં કપડા સૂકવવા આવેલો ઘૂળજી ય અમને ખલનાયક પ્રાણ જેવો લાગતો. એ જાય તો સારું, એવું માનવું ય અઘરું પડતું કારણ કે, એક એક લેંઘો સૂકવતા બોચીયો દસ- દસ મિનિટ લગાડતો ત્યાં ધર્મેન્દ્ર- નૂતનની વચ્ચે આ રહેમાન ધૂસી જાય, એ શું પોસાય ? (જવાબ : સહેજ બી ન પોસાય. : જવાબ પૂરો) આમ આપણે બળતણીયા નહિ, પણ પ્રેમ અથવા પ્રેમીના મામલે આપણા કમ્પાઉન્ડમાં કોઈ બીજો પાર્કિંગ કરી જાય, એ તો ના પોસાય ને ? સુંઉ કિયો છો ? 

પણ જહે નસીબ ! સોનિક-ઓમી પણ ‘જસ્ટ વન ફિલ્મ વન્ડર’ જ નીકળ્યા. એ પછી તો બન્નેએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું... એકેયમાં ન ચાલ્યું. ફિલ્મી સંગીતનું પતન કોરા કાગળ પર લખાઈ ચૂક્યું હતું અને ’૬૯માં ફિલ્મ ‘આરાધના’થી બર્મન દાદાએ કિશોરકુમારને નવો જન્મ આપીને સંગીતની રૂખ બદલી નાખી, એ પછી કેટલીક ફિલ્મોના કેટલાક ગીતો કેટલાક વર્ષો સુધી ચાલ્યા... પણ ’૪૬થી ’૬૬ સુધીના બે દાયકાઓવાલી બાત તો કહીં ભી નહીં થી !... આજ સુધી પણ નહિ ! પણ ‘દિલ ને ફિર યાદ કિયા’ના બેનમૂન સંગીતને પ્રણામ સાથે યાદ કરવું પડે, એવું તગડું સંગીત સોનિક-ઓમી બનાવતા ગયા, એમાં બેમત નથી. 

એક આડ વાત : આજ સુધી ‘દિલ ને ફિર યાદ કિયા’ના જે કોઈ ગીતો તમે રેડિયો, પછી કેસેટ અને આજે સીડી પર સાંભળતા હશો, એમાં ફરક એટલો છે કે, ઓરિજીનલ સાઉન્ડ ટ્રેક પર (અથવા ફિલ્મ જોતી વખતે) એ જ ગીતો પહેલી વાર સાંભળતા હો, તેવું લાગશે કારણ કે ઓલમોસ્ટ દરેક ગીતમાં વધારાની કડી, વધારાનું સંગીત અને વધારાની મઝા સાંભળવા મળે એવી છે. 

આપણી અનેક ફિલ્મોની જેમ, અહીં પણ ફિલ્મના નામને ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા ન હોય. લો કિયો... દિલ ને ફિર યાદ કિયા, એટલે શું સમજવાનું ? ફિલ્મ તો જાવા દિયો, પણ અમથું ય આ નામનું આપણે ગુજરાતી કરવું હોય તો શું કરવાનું ? ઇન ફેક્ટ, ભાગ્યે જ ફિલ્મ આજે પણ બને છે, જેને ફિલ્મની વાર્તા સાથે કાંઈ લેવા-દેવા હોય. 

અહીં પ્રેમમાં નૂતન અને આપણા ધર્મો. જોડી જામે એવી સારી હતી, પણ એ બન્નેએ જે ફૂટપાથ ઉપર પોતાના પ્રેમનો લારી ગલ્લો ખોલ્યો હતો એની બાજુમાં રહેમાન પણ પોતાનો ખૂમચો લઈને આવી ગયો, એની આખી વાર્તા પરથી ફિલ્મ બની છે. હિંદી ફિલ્મો શરુ થઈ ત્યારથી આજ સુધી તત્તણ- તત્તણ પ્રેમીઓની અનેક કથાઓ આવી ગઈ... થેન્ક ગોડ, કોઈ ફિલ્મમાં ચોકડી નથી દેખાડાઈ, બબ્બેની જોડી પોતપોતાની શક્તિ મુજબ પ્રેમો કરીને રાબેતા મુજબ, સાડા ત્રણ કલાકે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં લગ્ન નોંધણી કચેરીમાં નામો નોંધાવીને કાબિલ થઈ જાય, પણ ચોકડીમાં તો આનું લશ્કર તેની સાથેને તેનું લશ્કર આની સાથે જેવી ગરબડો મેં તો કોઈ હિન્દી ફિલ્મોમાંજોઈ નથી. 

તેમ છતાં ય, હિન્દી ફિલ્મોનો એક મોટો ફાયદો ખરો કે, સ્ટોરી ભલેને ત્રણ પ્રેમીઓની હોય.. આપણને ખબર જ હોય કે ફિલ્મના એન્ડમાં કોણ મરવાનો થયો છે ! હીરો- હીરોઇનને તો પૈણાવવા જ પડે, એટલે ત્રીજો આખેઆખો વાંઢો મરે, એના કરતા એની પાસે આપઘાત કરાવી લેવો, કે બીજા હીરાને બચાવવા જતા છાતીમાં વિલનની ગોળી ખવડાવીને એને પતાવો અથવા મૂવો ગામ છોડીને જતો રહે, એટલે ફિલ્મ પૂરી થાય ને આપણે ય ખોટી ચિંતાઓ કર્યા વિના ઘરભેગા થઈ શકીએ. 

એક સવાલ એને થવો પણ જોઈએ કે એ જમાનાની ફિલ્મોના પ્રણય ત્રિકોણમાં બધા બુઢ્ઢાઓ જ કેમ હતા ? ઠેઠ ‘દિદાર’થી યાદ કરવાનું શરુ કરો તો અશોકકુમાર- દિલીપકુમાર અને નરગીસના પ્રણય ત્રિકોણમાં એ ત્રણે કંઈ કોલેજ જતા જુવાનીયાઓ નહોતા. ‘સંગમ’માં પણ ૪૦- ૪૫ પર પહોંચેલા રાજ- વૈજયંતિ- રાજેન્દ્રને રહી રહીને પ્રેમો કરવાના ધખારા ઉપડ્યા હતા. આજની ફિલ્મોમાં કમ-સે-કમ આવો બકવાસ નથી હોતો, એનું કારણ એ છે કે, એ જમાનાની ફિલ્મોમાં સ્થાપિત હીરો-હીરોઇનો જ ફિલ્મની વાર્તાનો ભાગ બની શકે. લેખકે લખેલી મૂળ વાર્તામાં હીરો ઊલે ૨૦- ૨૨નો હોય, પણ એની ફિલ્મ બનવાની હોય તો, ૪૫- ૫૦ ઉપર પહોચેલા દિલીપકુમાર કે રાજ કપુરને જ લેવા પડે. હાસ્યાસ્પદ સ્થિતિ તો ત્યારે સર્જાતી કે, ક્યારેક તો આટલા મોટા ઢાંઢાઓને કોલેજમાં ભણતા બતાવાતા. મને યાદ છે કે ફિલ્મ ‘એરાઉન્ડ ધ વર્લ્ડ’ તો અમદાવાદના રૂપાલી સિનેમામાં ૧૯૬૭માં આવ્યું ત્યારે ૧૯૨૪માં જન્મેલા રાજ કપૂરને આ ફિલ્મમાં ‘અભી તો રાજુ ભી ૩૦ સાલ કા હો ગયા હૈ’, એ સંવાદ સાંભળીને થીયેટર આખું હસી પડતું હતું. આપણા બેમાંથી એકનું ગણિત પાકું હોય તો રાજ કપુર એ વખતે ૪૩ વર્ષનો હતો. 

‘દિલ ને ફિર યાદ કિયા’માં ધર્મેન્દ્ર અને નૂતન સુધી તો વાત બરોબર લાગે, પણ શાળાના નિવૃત્ત ટ્રસ્ટી જેવા બુઢ્ઢા લાગતા રહેમાનને પણ ત્રિકોણને એક ખૂણો એનાયત કઈ કમાણી ઉપર કરવામાં આવ્યો હશે, તે સમજાય નહિ, તો કસૂર આપણો નથી બાકાયદા આપણો નથી. એમાં ય ચેહરો બહુ... બહુ... દુઃખી રાખીને રહેમાન પેલા બન્નેની સાથે હોડકામાં બેઠો બેઠો મૂકેશના અવાજમાં, ‘હમ વો પરવાને હૈ જો શમ્મા કા દમ ભરતે હૈ, હુસ્ન કી આગ મેં ખામોશ જલા કરતે હૈ...’ આવું ગાય તો એની બા ય નહિ ખીજાતા હોય ? ખામોશ કે બુમાબુમ કરીને હુસ્નની આગમાં ભડકા કરવાની ઉંમર કંઈ એના દીકરા કે દીકરાના દીકરાની ફિલ્મ હોય... તું હેઠો બેસ ને, ભા’આ....ય ! સુઉં કિયો છો ? 

 પણ આ ફિલ્મમાં પણ હરએક ફિલ્મની જેમ જીવન મેદાન મારી જાય છે. અમારા ખાડિયામાં એને બધા ‘જીવણ’ અથવા ‘જીવણીયા’ તરીકે ઓળખતા. બહુ ઓછાના ઘ્યાનમાં આવ્યું હશે કે, ખલનાયકીમાં કોમેડી ઉમેરવાનો જશ એકમાત્ર જીવનને આપવો પડે. એને ઉલ્લુ બનાવીને ઇન્ટરવલ સુધી હીરો એની હીરોઇન અને આપણને બધાને હસાવતો રહે.. પછી છેલ્લે મરતા પહેલા આ જીવન પેલા બન્નેનું જીવન હરામ કરી નાખે, એટલે હીરોને હીરો બનવાની તક મળે. જીવનની જેમ કન્હૈયાલાલ કે નાના પળશીકર પણ જોવા ગમે એવા ચરિત્ર અભિનેતાઓ હતા, બાકી આ તમારા કાયમી રોતડાં નઝીરહુસૈન, મનમોહન કૃષ્ણ કે શિવરાજને તો કિશોરકુમારના બાપ બનાવો તો ય આપણને રડાવી નાંખે. (ભુલ સુધાર : કોઈને કોઈના બાપ આપણાથી ન બનાવી શકાય.. આ તો ફક્ત ફિલ્મ પૂરતી વાત થાય છે... વાત પૂરી) 

ધર્મેન્દ્રનું આ ફિલ્મમાં હોવું પ્રેક્ષકોને ખૂબ ગમ્યું હતું. એની સફળતામાં આમ જોઈએ તો દારાસિંઘનો ય આડકતરો હાથ હતો અને તે એટલા માટે કે હિંદી ફિલ્મોની શરુઆતથી એકે ય હીરો શરીર- સૌષ્ઠવની દ્રષ્ટિએ ગોટલા- બોટલા ફુલાવી શકે એવો ‘માચો’ નહોતો. ઝીમ્બો અને ટારઝનની ફિલ્મો દ્વારા ચોક્કસ વર્ગના પ્રેક્ષકોને ગમતો આઝાદ પણ (આજના સિક્સ-પેક હીરોઝ જેવો) મસ્ક્યુલસ ન હતો. હાઇટ બોડી બીજા કરતાં સારા, પેટ અંદર અને ચેહરો રૂપાળો એટલે એ બધા હીરો બની ગયેલા. એવામાં અચાનક ’૬૦ના દાયકામાં દારાસિંઘ આવ્યો અને પ્રેક્ષકોમાં છવાઈ ગયો. લોકોએ સાચા અર્થમાં મરદ હીરો પહેલી વાર જોયો હતો. અગાઉ મૂંગી ફિલ્મોના જમાનાથી શરુ કરીને જોન કાવસ એવો જ સ્નાયુબદ્ધ હીરો હતો, પણ એની હૈસિયત દારાસિંઘની માફક ઢીશૂમ ઢીશૂમથી આગળ કાંઈ નહતી ત્યારે શરીરે મસલ્સ બતાવી શકે, દેખાવડો પણ લાગે અને થોડી બહોત એક્ટિંગ પણ કરી શકે એવો ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવ્યો એ સાથે જ લોકોને ગમવા માંડ્યો ટોપ હીરોઇનો પણ એની સાથે કામ કરવા રાજી હતી. આપણી ફિલ્મોમાં જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર બે જ હીરો એવા નીકળ્યા, જેમનો જમાનો કદી આથમ્યો જ નહિ, ફિલ્મો ફ્‌લોપ જાય કે સફળ એ બન્નેનો અસ્ત કદી થયો જ નહિ... સિવાય કે ઉંમરના કારણે એમને બૅકસીટમાં આજે બેસવું પડ્યું છે. ‘દિલ ને ફિર યાદ કિયા...’ બસ, એના દિલડોલ સંગીતને કારણે ફિલ્મ જોવા જેવી ચોક્કસ બની છે. 

11/01/2012

તાપણું એટલે જે આયું તે બઘું હળગાવવાનું ના હોય !

‘‘આ કપડું બળવાની ક્યાંક ગંધ મારે છે...! કંઇક હળગે છે ??’’

આવી રજુઆત મસ્તુભ’ઇએ કરી, બંગલાના ગાર્ડન તરફના દરવાજામાંથી પ્રગટ થતા થતા...! શું સળગે છે, એ જોવા એ દસે દિશાઓમાં ડાફરીયાં મારી રહ્યા હતા. પાછા એ ટુવાલ પહેરીને બહાર આવતા હતા, એમાં અમે બધા ચમક્યા.

શિયાળાની ઠંડી મજાની ઉઇઇઇઇ.... ઘોર અંધારી રાત્રે મસ્તુભ’ઇના બંગલાના ગાર્ડનમાં થોડાક મહેમાનો સાથે અમે બધા તાપણું કરવા બેઠા હતા. સળગતા તાપણાંની ગોળ-ફરતે બેસવાની પ્રાચીનકાળના ૠષિમુનીઓ યજ્ઞ કરવા બેઠા હોય એવું દ્રષ્ય લાગે.... અને તાપણું ઠરી ગયા પછી બેઠા રહો તો સ્મશાનના પગારદાર મજૂરીયાઓ જે કાંઇ વઘ્યું ઘટ્યું હોય, તે ફેણવા બેઠા હોય એવું લાગે. દેખાવને આધારે તો અમે પહેલા દ્રષ્યમાં પણ ૠષિમુનીઓ જેવા નહોતા લાગતા.’

મસ્તુભ’ઇ અમારાથી મોટા, એમનો દીકરો અમારી ઉંમરનો, એટલે તાપણાનો કારભાર એણે-એટલે દીપકીયાએ સંભાળ્યો હતો. એને બઘું હળગાવવાનો બહોળો અનુભવ, એ ધોરણે તાપણાંની જ્યોત જલતી રાખવાની મજૂરી અમે એને સોંપી હતી. 

કપડું બળવાની કોઇ ગંધ મારતી હોવાની મસ્તુભ’ઇની જાહેરાતથી અમે બધા ફફડી એટલા માટે ગયા હતા કે, ઠંડી અને તાપણું બન્ને જામ્યા હતા અને અમારીપાસે હવે લાકડા-ફાકડા વઘ્યા નહોતા, એટલે દીપકો ઘરમાંથી કોક કપડું લઇ આયો, એ મસ્તુભ’ઇનો લેંઘો હતો. 

ચોંકીને અમે બધાએ બુઝુ-બુઝુ કરતા તાપણામાં જોયું તો, સફેદ નાડાંનો એક છેડો ઘરની બહાર કાઢી મૂકેલા ઘર-જમાઇની જેમ લટકી રહ્યો હતો. લેંઘાનું બાકી બઘું પતી ગયું હતું. ઘરમાં ખોળાખોળ કરતા લેંઘો ન મળવાથી મસ્તુભ’ઇ ટુવાલ પહેરીને લેંઘો શોધવા બહાર આવ્યા. એમાં તો ભડકો ચાલુ રાખવા કેટલાક બદમાશોની નજર એ ટુવાલ ઉપર પણ બગડી હતી. (આ બદમાશોમાં એકલો હું જ હતો, પણ આપણને કદી આપણી સિઘ્ધિઓની જાણ કરવાની બહુ આદતો નહિ !) 

તાપણાંની દુનિયામાં અમારા બધામાં દીપકીયો એકલો સ્માર્ટ...! વર્ષોથી તાપણાંનો બહોળો અનુભવ હોવાને કારણે આવા તો કંઇ કેટલાય લેંઘાઓ અને ટુવાલો તેણે હળગાઇ મારેલા. આગ ભડકતી રાખવામાં એની માસ્ટરી. એના જવાથી કોઇ ચાલુ ઝગડો વધે ખરો.... ઘટે નહિ ! 

મસ્તુભ’ઇ ઉંમર અને ટુવાલને કારણે શરીરે બહુ ખેંખલી લાગતા હતા. છાતી ઉપર ચામડી સાથે પાંસળીઓ એવી રીતે ચોંટી ગઇ હતી કે, જરા અમથો પવન વધારે ફુંકાય તો ચામડી અંદર ને પાંસળી બહાર આવતી રહે, એવી દહેશત એમના સિવાય બધાને લાગે. બીજાઓને ફાંદ હોય, પણ આમને પેટના ભાગ ઉપર આખું નારીયેળ મૂકી શકાય એટલો ઊંડો ખાડો હતો. એ ખાડામાં ખોસેલો ટુવાલ કેટલું ટકશે, એ શ્રદ્ધાનો વિષય હતો, એમાં પુરાવાની જરૂર પડે નહિ. 

હું આમ પાછો સ્માર્ટ ખરો, એટલે મસ્તુભ’ઇની નજર બી ના પડે, એટલી ઝડપથી વધેલા નાડાનો છેડો ભડભડતી આગમાં નાંખી દીધો, જેથી આખી ઘટનાનો કોઇ ચશ્મદીદ ગવાહ ન રહે. 

કોઇ ભક્ત ૪૦૦ કી.મી. ચાલીને અંબાજીના મંદિરે આવ્યા હોય ને એને ખબર પડે કે, અંબાજી તો હાલ પ્રવાસમાં છે અને મંદિર બંધ છે, ને કેવો નિરાશ થઇ જાય એમ, લેંઘો ન મળતા હતાશ મસ્તુભ’ઇ ઘરમાં પાછા ગરી ગયા. 

તાપણું બહુ મસ્તમજાની ચીજ છે. ડિમ્પલ કાપડીયાના ધાંય ધાંય રૂપ જેવી આવી કાતિલ ઠંડીમાં તાપણું કરીને હખણા બેસી રહો તો શરીરમાં જોઇએ એવો ગરમાવો આવી જાય. બન્ને હથેળીઓ ભડકા સામે રાખીને તાબડતોબ પાછી લઇ લેવાનો જે મજો પડે છે, એ કોઇ ઓર જ હોય. એક બાજુ તનબદનમાં લખલખું ઉપડાવી દે, એવી ઘૂંઆધાર ઠંડી અને તાપણું પલભરમાં આપણને ગરમ કરી દે. તાપણાંની અલબત્ત પૂર્વ શરત એ જ કે, એ મે-મહિનાની ભરબપ્પોરે ગોઠવી શકાતું નથી. બીજી મર્યાદા એ છે કે, શિયાળામાં પણ તે ફક્ત શરીરના આગળના ભાગને જ ગરમ કરી શકે છે... ઠંડો બહુ વાતો ઉપરથી તો ય કાંઇ તાપણા તરફ બરડો ખુલ્લો રાખીને બેસી શકાતું નથી. જોઇ જાય તો બા ય ખીજાય ! આગની જ્વાલાઓ ઉપરથી હથેળીઓ ફેરવવાની પણ આવડત, ઝડપ,સમયસૂચકતા અને ઊભડક પગે બૅલેન્સ રાખીને પદ્ધતિસર બેસવાની કૂનેહ જોઇએ. એક જરાક અમથી ઝાળ લાગી જાય તો, હાથમાં રૂપિયા-રૂપિયા જેવડા ફોડલાં પડી જાય છે. વળી, શાસ્ત્રોમાં કીઘું છે કે, ઊભડક પગે બેઠા પછી પાછલી દિશામાં ગડથોલીયું ખાઇ શકાય, આગળ નહિ. ગડથોલીયાની બીકે જ, કેટલાક ફત્તુ-બાઓ તાપણાંથી બબ્બે કી.મી. દૂર ખુરશી રાખીને હવામાં હથેળીઓ ધુમાવે રાખે છે. ખુશ્બુ લેવા માટે ફૂલની પાસે જવું પડે ને તો જ ફૂલ સુગંધ આપે અને તાપણું ગરમી આપે. 

ફૂલ અને તાપણાંની જ્વાળા વચ્ચે ફરક એટલો કે, સુંદરતા બે ય ની એકસરખી હોવા છતાં વાઇફના માથામાં ફૂલ ભરાવી શકાય... પણ મનમાં ગમે તેટલા ધખારા ઉપડ્યા હોય તો ય જ્વાલાને વેણીની માફક આપણાથી એના માથામાં મૂકી શકાતી નથી... કોઇ પંખો ચાલુ કરો ! 

તાપણું આટલું લોકપ્રિય થવાનું બીજું એક કારણ એ પણ છે કે, આગની જ્વાળાઓના ભડકાવાળા ઉજ્જવલ પ્રકાશમાં હાળા કાળીયાઓ ય ગુલાબી-ગુલાબી લાગે છે, બોલો ! વાચકોએ મારા આ નિરીક્ષણ પરથી ધડો એ લેવાનો કે, કોઇ કાળીયાનું ગોઠવાતું ન હોય, તો, એને તાપણું કરવા બેહાડીને કન્યાવાળાઓને એને જોવા બોલાવી લેવાના. એને ઊભો નહિ થવા દેવાનો. બસ. આ તબક્કે જ એ ઉજળો લાગશે. 

તાપણું જ્ઞાતિની મીટિંગ જેવું છે. તમે કદીક તાપણે બેઠા હો, તો નોંઘ્યું હશે કે, એમાં કારણ વગરના ઊંબાળીયા અને અડપલાં કરનારા બહુ હોય છે. જીવ ઝાલ્યો રહેતો નથી, સળગતા લાકડાને આઘાપાછા ખસેડવાનો. કોક લાકડું અડઘું સળગ્યું હોય તો, બીજાં લાકડા વડે એને ખસેડ ખસેડ કરવાની શૂળ ઉપડે છે. આવડે નહિ ને ઊંબાળીયું કરવા જાય એમાં અચાનક ભડકો કરી મ્હેલે અને બેઠેલા બધાના મ્હોં ઉપર ઘૂણી ને તણખા ભરી મ્હેલે. આગ સે ખેલના બચ્ચોં કા કામ નહિ...  હાથ કો અડ જાતા હૈ, તો ફોડલા પડ જાતા હૈ... હોઓઓઓ ! 

એક આદર્શ તાપણાંની એક મુશ્કેલી પણ છે માંડ જામ્યું હોય ત્યાં લાકડા ખૂટી જાય. ભડકો ચાલુ રાખવા મહીં લાકડા એ મઘ્યમ-વર્ગના ફેમિલી જેવું છે. સિવાય શું શું નાંખવાનું હોય, એની પદ્ધતિસરની માહિતી બધાને પાસે કાંઇ ન હોય ! પછી તો રઘવાયા થઇને તાપણેદારો હાથમાં જે આવ્યું, તે ઝીંકવા માંડે છે. મસ્તુભ’ઇના લેંઘાની જેમ. છેલ્લે તો વખત એવો આવી જાય કે, કંઇ ન મળે, તો લોન પરનું લીલું ઘાસ ઉખાડી ઉખાડીને લોકો નાંખવા માંડે.... ખુદ મારા ઘરના બે ટેબલો ગયા શિયાળાથી મળતા નથી ! 

સિક્સર 
અન્ના હજારેએ ભ્રષ્ટાચારી કોંગ્રેસ સરકારને સારી કહેવડાવી દીધી.....!

08/01/2012

ઍનકાઉન્ટર : 08-01-2012


* ફૂગાવો દૂર કરવા કોંગ્રેસ-સરકાર શું કરી રહી છે ? 
- લહેર કરી રહી છે.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ) 

* અશોકજી, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે ? 
- વૅકેશન સુધી.
(ધર્મેશ બી. વેકરીયા, વિસાવદર) 

* દરેક ઘટના બાદ પ્રધાનો 'કડી નિંદા' કરે છે... એટલે શું ? 
- એ તો એમનાથી એવું બોલાઇ જાય... એમના મનમાં એવું કાંઇ ન હોય !
(લલિત ઓઝા, જૂનાગઢ) 

* દેશમાં આટઆટલા આતંકી હૂમલાઓ થયે રાખવા છતાં વડાપ્રધાનના ગળામાંથી અવાજ કેમ નીકળતો નથી ? 
- શરીરના કોઇપણ ભાગમાંથી અવાજ પેદા કરવા માટે એમને કોઇની પરવાનગી લેવી પડે છે.
(નીતા મોઢા, મુંબઈ) 

* આપ જ્યારે 'બા ખીજાય'નો ઉલ્લેખ કરો છો, ત્યારે મને લાગે છે કે, ઇશારો આપના પત્ની ખીજાય છે, એની ઉપર છે..સત્ય શું છે ? 
- એ કહેવા જઉં તો બન્ને ખીજાય એવા છે !
(ટી.એસ. પરમાર, આણંદ) 

* તમે રાષ્ટ્રપતિ હોત તો કસાબને ફાંસી માટે શું કરત ? 
- એક રાષ્ટ્રભક્ત ભારતીયને છાજે એવું પગલું ભરત....!
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ) 

* વકીલ કાળો કોટ, ડૉક્ટર સફેદ કોટ, તો લેખક ?
- રાજકોટ....! રાજ વગરનો કોટ !!
(ડી.કે. માંડવીયા, પોરબંદર) 

* તમારા એક લેખમાં ''એ માણસ તો 'મદ્રાસકલકત્તા' છે...'' એવો ઉલ્લેખ હતો. એ તમે શું કહેવા માંગતા હતા ?
- કોઇને સીધેસીધો 'મેડ', 'રાસ્કલ' અને 'કૂત્તો' કહી ન શકાય તો MADRASCALCUTTA કહી દેવાય. આખું વાંચો તો, Mad Rascal Cutta વંચાશે. 

* તમારૂં ઍન્કાઉન્ટર આપણા એકે ય પ્રધાનો વાંચતા હશે ખરા ?
- એવું કાંઇ નથી... કેટલાંક તો ભણેલાઓ પણ છે !
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર) 

* લગ્ન નોંધણી કચેરીમાં 'ઍક્સપાયરી-ડેટ' કેમ લખવામાં આવતી નથી ?
- મરેલાને શું મારવો ?
(જયેશ અંતાણી, ભાવનગર) 

* ઓહ... તમે અમારા સાવર-કુંડલા આવી ગયા ને અમને ખબરે ય ન પડી ?
- મારી સાથે બીજા ત્રણ હતા.. એ ત્રણે ય 'અશોક દવે' જેવા લાગતા'તા, પછી ક્યા મોંઢે ખબર આપે ?
(કૃપા પટેલ, સાવર-કુંડલા) 

* ઇ.સ. ૨૦૧૨માં પ્રલય થવાનો છે, એ વાત કેટલે અંશે સાચી ?
- સાવ ખોટ્ટી ! પ્રલય ૨૦૧૨-માં નહિ, ઈ.સ. ૨૧૧૨-માં થવાનો છે.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ) 

* તમને ભારતીય હોવાનો ગર્વ કેટલો ?
- 'સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'
(પિનાકીન ઠાકોર, અમદાવાદ) 

* કેટલાંક વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કેમ કરે છે ?
- બુદ્ધિના લઠ્ઠ હોય છે માટે.
(જાનકી જાની, આલીદર-કોડિનાર) 

* તમે બાબા રામદેવની સાથે ઉપવાસ પર ઉતર્યા હો તો ?
- રામદેવ અને કામદેવ સાથે કદી શોભે નહિ !
(અશોક એમ.શાહ, વડોદરા) 

* લગ્નમાં ચાર ફેરા અને સપ્તપદી હોય છે, એમાં ફેરફાર કરીને આઠ ફેરા અષ્ટપદી ના થાય ?
- કાલ ઉઠીને તમે તો ફેરા રીક્ષામાં બેસીને લઇ લેવાનું ય કહેશો... આવું ના કરાય... બા ખીજાય !
(જીજ્ઞાસા યુ. કવિ, વડોદરા) 

* ચિતા અને ચિંતા વચ્ચે કેટલો ફેર ?
- ચિત્તા જેટલો.
(કુલદીપ કે. માંડાણી, બાબરા-અમરાપરા) 

* આજકાલ શિક્ષકો પણ વ્યસનોના શિકાર બન્યા છે. બાળકોના ભાવિનું શું ?
- વ્યસની શિક્ષકો પણ બાપ તો બની જ શકે !
(કિશોર વ્યાસ, ઘોઘા) 

* 'ઍનકાઉન્ટર'માં આજ દિન સુધી કોઇ રાજકારણીએ કેમ સવાલ પૂછ્યો નથી ?
- એમનું કામ સવાલો પૂછવાનું નહિ, સવાલો ઊભા કરવાનું છે.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ) 

* પોતાના પતિ સિવાયના પુરૂષનો વિચાર કરવો પણ પાપ કહેવાય, તો દ્રૌપદીને પાંચ પતિઓ કેમ હતા ?
- એ વખતે હું તો હાજર નહતો !
(મણિબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* કોઇ નેતાને 'ટાડા' હેઠળ કેમ પકડવામાં આવતો નથી ?
- પકડાયા પછી ય નાગો માણસ હાથમાં ઝાલ્યો રહે નહિ...જલ્દી લસરી જાય.
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર) 

* 'સુરક્ષા એ જીવનની ચાવી છે,' એ સાચું ?
- ના રે ના... હવેની વાઇફો એમના ગોરધનના બધા SMS ચૅક કરતી હોય છે !
(અશોક આર. જહા, વડોદરા) 

* કોંગ્રેસીઓ પાસે ભાજપની ટીકા કરવા સિવાય બીજો કોઇ ધંધો જ નથી ?
- તે ભાજપ પાસે ય બીજો ક્યો ધંધો સારો છે ?
(ગોવિંદ કે. પ્રજાપતિ, થરા-કાંકરેજ) 

* અમુક ઉંમર પછી માણસની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઇ જાય છે ?
- ભ'ઇ, બેહો ને છાનામાના....! અમુક ઉંમર પછી બધું ય ભ્રષ્ટ થઇ જાય છે !!
(ભીસમલાલ એમ. ખાનવાણી, જૂનાગઢ) 

* માયાવતીને હજારોની નોટોના હાર પહેરાવાયા.... તમે શેની આશા રાખો છો ?
- આપણે સો-બસો ઓછાવાળો હાર ચલાવી લઇશું.
(વિજય પટેલ, બિલીમોરા) 

* અશોકજી, તમારા મકાનનું નામ શું રાખ્યું છે ?
- 'કૂતરાથી સાવધાન.'
(હર્ષલ બી. અંજારીયા, રાજકોટ) 

* તમને કોઇ સ્ત્રીએ દગો કર્યો છે ખરો ? સાચો જવાબ આપજો.
- મારી સાસુએ...! બતાવી ચારી દીકરીઓ... અને પરણાવી એક જ.
(માયા વાય. પટેલ, અમદાવાદ) 

* લવ-મૅરેજ કરવા કે મૅરેજ પછી લવ કરવો ?
- મૅરેજ કરવામાં લવની જરૂરત જ ક્યાંથી પડે ?
(પલક નાણાંવટી, ઓખા)