Search This Blog

29/02/2012

અખરોટ-બખરોટ

જીવનમાં કે દુકાનમાં, આજ સુધી મને એક સિગારેટ સિવાય બીજું કાંઇ ખરીદતા આવડ્યું નથી. સિગારેટ લીધા પછી એને લોખંડના દસ્તા વડે તોડવાની હોતી નથી, માટે મને અખરોટ કરતા સિગારેટ વઘુ પૌષ્ટિક અને ગુણકારી લાગે છે. ઘર માટે તેમ જ સંબંધીઓને દેવા માટે હું વૈષ્ણોદેવીથી ત્રણ થેલાં ભરીને અખરોટ લઇ આવ્યો, એમાં તો રામ જાણે હું દધિચી ૠષિના હાડકા ઉપાડી લાવ્યો હોઉં, એમ ઘરનાઓને ઝાટકા વાગ્યા. બહારથી હું ટૅન્શનો સિવાય પણ ઘરમાં કશું લાવી શકું છું, એ વાત માનવામાં ન આવતી હોય તેમ, હકીએ એક અખરોટ હાથમાં ઉપાડીને ગોળગોળ ફેરવીને પહેલો સવાલ પૂછ્‌યો, ‘‘આ સુઉં છે, અસોક...?’’

‘‘એ કીડની છે... બજારમાં મળતીતી તે લઇ આયો !’’

આપણને ગુસ્સો ન આવે કે, એક તો જીવનમાં પહેલી વાર કોક ચીજ હોંશે હોંશે ખરીદી લાયા હોઇએ, એમાં ય વાઇફો ડાઉટો પાડે ? (અહીં Doubt નું બહુવચન ભૂલમાં ખોટું લખાયું છે, તે સુધારીને ડાઉટોઝવાંચવું !.... વાઇફના બહુવચનને જેમનું તેમ રહેવા દેવું !)

‘‘બવ હારૂં... હવે અમને કિયો કે, એને ભાંઇગવાની કઇ રીતે ?’’

એ ભૂલ મારી હતી કે, ત્રણ મોટા થેલાં ભરીને વૈષ્ણોદેવીથી અખરોટો લેતો આવ્યો, ત્યારે દુકાનવાળાને પૂછવાનું ભૂલી ગયો હતો કે, આને કોરીધાડોક ચાવી જવાની કે, એનું બહારનું પડ તોડીને મહીંથી માણસના બે ફેફસાં જેવું જે નીકળે, એને કચડ-કચડ ચાવી જવાનું ? ઓકે. ઘરમાં કોક તો બુદ્ધિશાળી નીકળે ને ? હકીને જાણકારી હતી કે, અખરોટને તોડીને ખાવાની હોય. નૉર્મલી, જે નજરથી એ મને જોતી હોય છે, એવી એક નજર એણે અખરોટ ઉપર ફેંકી... પણ અખરોટ એ અખરોટ હતી... કોઇ અશોક દવે નહોતી, તે જોતા વ્હેંત તૂટી જાય ! એ ૠષિમુની જેવી નિશ્ચલ હતી. એને કાંઇ ન થયું. ઝનૂનમાં હકી લોખંડનો દસ્તો ઉપાડી લાવી ને મારો બરડો સમજીને એક ઘા ને બે કટકાવાળી કરી....! અંગૂઠા અને આંગળી વચ્ચે અખરોટ દબાવીને એની ઉપર દસ્તો ઝીંકવો, એમાં જોખમ ઘણું છે. ન કરે નારાયણ ને દસ્તો અખરોટને બદલે હકીના અંગૂઠા ઉપર વાગે, તો મોંઘા ભાવનો દસ્તો વળી જાય ! અત્યારે દસ્તા કાંઇ રસ્તામાં પડ્યા છે ? (... કોઇ પંખો ચાલુ કરો !) દસ્તાના ફૌલાદી પ્રહાર છતાં અખરોટના અમે કાંઇ તોડીને ભડાકા કરી ન શક્યા. એ ન તૂટી... તો ય જો કે, હકીએ હ્યૂમર સારી કરી કે, ‘‘અસોક... દસ્તો વરી ગીયો છે, તો એને શીધો કરવા એના માથે આ અખરોટ ઠોકો !’’ સદરહૂ અખરોટ એની માં પર ગઇ હોવી જોઇએ. ગમે તેટલી પછાડી, તોડી કે ઘાઓ માર્યા, એ તૂટી નહિ. બારણાંના મીજાગરાં વચ્ચે અખરોટ મૂકીને અમે બે-ચારજણાએ ખભાના ધક્કા હળીમળીને માર્યા... તો આમે ય, અમારે બારણું તો બદલાવવાનું જ હતું ! (જાણતલ વડિલોએ બારણાને બદલે મકાન બદલાવવાની સલાહ આપી હતી ને આપણને એમ કે ધીરજના ફળ મીઠા હોય છે... કોક દિમકાનને બદલે ઘર બદલાવી શકાશે !) એક તબક્કે તો, આખું ફૅમિલી જીવ પર આવી ગયું. અખરોટ ઉપર લાકડાનું પાટીયું મૂકી, વારાફરતી બધા પાટીયાં ઉપર ઊભા રહ્યા અને એક સાથે વન-ટુ-થ્રીબોલીને એની ઉપર કૂદ્યા. પણ રામ રાખે, તેને કોણ ચાખે ? (...ને આવી અખરોટ તો રામે ય ન ચાખે !) પાટીયું એક બાજુ જરી વઘુ ઊંચું થઇ ગયું હશે, તે મહીંથી અખરોટ છટકીને માઇક્રોવૅવ-ઑવન પર અથડાઇ...ઑવનની આરપાર કાણું....!

અખરોટને ડાયનિંગ-ટૅબલ પર મૂકીને હું જોતો હતો, ત્યાં કોક બોલ્યું ય ખરૂં કે, ‘‘પપ્પા, સૉરી તમને ખ્યાલ ન પણ હોય, પણ માણસોને ખાવાની અખરોટો ય આવે છે... એ લેતા આવવીતી ને....?’’ સાલું, હું ગામ આખાની ફિલમ ઉતારતો હોઉં ને ઘરમાં છોકરાઓ મારી ઉતારે છે... ભલાઇનો જમાનો જ નથી રહ્યો ! પહેલી તૂટતી નહોતી ને હજી ત્રણ થેલાં ભરેલા હતા. ઘૂમકેતુની વાર્તામાં આવે છે તેમ, ‘પડે છે, ત્યારે સઘળું પડે છે... વિનિપાત થઇ જાય છે.સૂકા મેવાની દુનિયામાં કહે છે કે, બદામ ખાવાથી બુદ્ધિ આવે છે, પણ અખરોટ ખાવાથી બઇની ઝાલરે ય આવતી નથી, એ સમજાઇ ગયું.

મારા જન્માક્ષરમાં લખ્યું છે કે, શનિ-રવિમાં મારામાં બુદ્ધિ વધે છે. મને વિચાર આવ્યો કે, આમે ય ત્રણ કોથળાં ભરીને તો અમે કાંઇ અખરોટો ખાવાના નથી. રોજ દાળ-શાકમાં નાંખી નાંખીને ખઇએ, સાબુના લાટાને બદલે કપડાં ધોવામાં વાપરી નાંખીએ તો ય તત્તણ થેલાં ક્યાંથી ખૂટે ? દસ-બાર સારી જોઇને કાઢીને છોકરાઓને રમવા આપી કે, મોટા થઇને છોકરાઓ સચિન તેન્ડુલકર બને.

એમ પાછી હકી દાન-ધરમમાં બહુ માને. એણે જ અખરોટનો વહિવટ કરવા માંડ્યો. મુઠ્‌ઠા-મુઠ્‌ઠા ભરીને થોડી આજુબાજુમાં આલવી, થોડી સગાં-સંબંધીઓમાં આલવી ને બાકી વધે એ ગુજરાત રાજ્યના હોમગાડ્‌ર્સને આપી દેવી, જેથી કરફયૂ-બરફ્‌યૂ વખતે પથ્થરબાજી સામે એ લોકો અખરોટબાજીથી આત્મ-રક્ષણ કરી શકે.

પણ મારા મનમાં એક દુષ્ટ વિચાર ઝબકી રહ્યો હતો. આમ તો અખરોટ રઇસોની શાન-ઓ-શૌકત કહેવાય છે. ગેંગેં-પેંપેંનું એમાં કામ નહિ. આવી ચીજો કોઈને ગિફટ આપીએ, તો અખરોટ-સમાજમાં આપણું ય નામ થાય. ૧૯૫૨-ની સાલથી જે જે લોકો મારૂં લોહી પી ગયા છે, તે બધાને પ્લાસ્ટિકના ગોલ્ડન-પૅપરમાં દસ-દસ નંગ વીંટાળીને એમનો હોય કે ન હોય, ‘‘હૅપી-બર્થ-ડે’’ બોલીને ગિફટ તરીકે આપવી. જીવનભર જેમણે મારા દાંત ખાટા કર્યા છે, એ બધાના હવે તો તોડીને બતાવું. ભલે મારી ત્રણ કોથળા ભરેલી મોંઘી અખરોટો વપરાય, પણ વાત ધીંગાણાની આવે, ત્યારે આપણે પૈસા સામે નથી જોતા ! લોહીઓના લોહીઓ વહેવડાવી દઈએ... બીજાના ! અહીં મારૂં ગણિત વકરો એટલો નફોવાળું નહિ, પણ ખર્ચો એટલી ખોટનું હતું. (કોઇ મારા વખાણ કરો... હું જરા ઢીલો પડી રહ્યો છું !) વળી આપણા દેશમાં એટલું સારૂં છે કે, લીધેલી ગિફટો કોઇ પાછી નથી આલતું.

મારા લિસ્ટ મુજબ, આઠેક ફૅમિલીઓ મરવાના થયા હતા. સ્વાભાવિક છે, એમાંથી અડધા તો મારા સસરાના પરિવારજનો હોય. એમાંથી સસુરજી વગર અખરોટ ખાધે પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા હતા. સાસુજીને દાંતનું ચોકઠું હતું. બન્ને સાળાઓ સાલા લંડન, એટલે આપણે તો અખરોટ મોકલવાના ખર્ચામાં તૂટી જઈએ. વળી, વર્ષો પહેલા મેં એક સાથે એ બન્નેની બૉન પૈણી નાંખી હતી, એટલે વળતા હૂમલા તરીકે એ લોકો મને ‘‘આવા’’ અંજીર-ફંજીર કે લોખંડી ખારેકના કોથળા મોકલાવે તો હું હલવઇ જઉં કે નહિ ? (એ તો જેવા જેના લખ્ખણ, દવે સાહેબ....! જવાબ પૂરો)

પણ શાસ્ત્રોમાં કીઘું છે ને કે, ઉપર સ્વર્ગ-નર્ક જેવું કાંઇ જ નથી... બઘું અહીં જ ભોગવવાનું છે. જેને જેને ઘેર અમારી અખરોટો પહોંચી, એ લોકોએ પણ સામું સૌજન્ય બતાવ્યું.

પહેલા ગીફ્‌ટ-પૅકેટમાં અશોકને સપ્રેમલૅબલ મારીને કોઇકે મારા માટે, લાળીયાવાળો બાબા-શૂટ મોકલાવ્યો. બીજાએ ગયા જન્મનો બદલો લેવા કલ્યાણજી-આણંદજીના ગીતોની સીડી મોકલી. છેલ્લા ૨૩-વર્ષથી મરવા પડેલા સીઘુ કાકાએ શિવામ્બૂની ચમત્કારિક અસરોનામનું રંગીન ફોટાવાળું પુસ્તક મોકલી આપ્યું. એક ટીફીનમાંથી થીજી ગયેલી રબડી નીકળી... છેલ્લાએ કાંઈ મોકલાવ્યું નહોતું... એક કવરમાં સંદેશો હતો, ‘‘કૃપા કરી અમારા માટે આવી જ અખરોટના ૨૦-થેલા મંગાવી આપશો... અમારે પણ અમારા સગાંઓને સીધા કરવાના છે !’’

સિક્સર
જ્યાં પબ્લિસિટી મળે એમ હોય, ત્યાં સ્ત્રીસ્વાતંત્ર્યના ઝંડા લઇને નીકળી પડતા મહિલા સંગઠનો, ટીવી પ્રોગ્રામોમાં શાહરૂખ ખાનની નાલાયક હરકતો અને ગંદી ભાષાનો કેમ વિરોધ કરતા નથી ? આવા બેશરમોની તો ફિલ્મોનો ય બહિષ્કાર કરવો જોઈએ....!
કાકા, એમ બગડો એ ન ચાલે. વ્યક્તિપૂજાના દેશમાં શાહરૂખ પૂરા કપડાં કાઢીને ટીવી પર આવશે, તો ય ‘‘ હે હે હે...’’ કરતા હસી કાઢવાનું હોય ! કમ સે કમ શાહરૂખ, ટીવી જોનારાઓ કરતા તો વધુ મરદ નીકળ્યો!

26/02/2012

ઍનકાઉન્ટર : 26-02-2012

* ’૪૭ની આઝાદીની લડાઇમાં પૂજ્ય ગાંધીજીને સ્થાને તમે હોત તો પરિણામમાં શું ફરક હોત?
- દેશના મુદ્દે તો પૂજ્ય બાપુને બદલે ભગવાન શ્રીકૃષ્ણ પણ ન ચાલે.
(મહેશ પટણી, પાટણ)

* કમુરતામાં લગ્ન કરવામાં આવે તો શું કોઇ વિધ્ન આવે?
- એકનું એક વિધ્ન બીજી વાર ના આવે!
(શ્રીમતી ખુશ્બુ મારૂ, સુરત)

* બૅન્ક ઓફ બરોડાની કીમ બ્રાન્ચ આખી રાત ખુલ્લી રહી ગઇ... મૅનેજરનું બહુમાન નહિ કરવું જોઇએ?
- મનમોહનના રાજમાં ભારતની બધી સરહદો વર્ષોથી આખી રાત ખુલ્લી રહી ગઇ છે... બહુ બહુ તો એ મૅનેજરને ભારતના વડાપ્રધાન બનાવી શકાય!
(ગુણવંતી પટેલ, મુંબઇ)

* સુબ્રમણ્યમ સ્વામીને ભારત-રત્નએનાયત કરવો જોઇએ કે નહિ?
- આખા દેશમાં ભારત-રત્નફક્ત બે જ જણને અપાય એવો છે- એક તમને ને બીજો મને. બાકી બીજા કોઇ દૂધે ધોયેલા નથી!
(સુધીર ઠક્કર, જામનગર)

* ગાંધી-ફૅમિલીને આપણે ક્યાં સુધી સહન કરવાનું છે?
- જ્યાં સુધી અડવાણી-ફૅમિલીને કરીએ ત્યાં સુધી.
(બબુ એન. દફતરી, રાજકોટ)

* દેશ કે પરદેશ, ફિલ્મોના દરેક ઍવોર્ડસનું શિલ્પ નગ્ન જ કેમ હોય છે?
- ગરીબી.
(ધીમંત એ. ભાવસાર, બડોલી- ઈડર)

* જીવદયા અને અહિંસાની વાતો કરનારા માંકડ-મચ્છર મારવાની દવાઓનો કેમ વિરોધ કરતા નથી?
- દવાઓનો વિરોધ કરવાનું પાછું ધરમમાં લખ્યું નથી, ઇ!
(વૈદ્ય સુનિલ શર્મા, અમદાવાદ)

* ઈશ્વર વઘુ પ્રસન્ન શેનાથી થાય? પ્રસાદ- ભોગ કે પૈસા ચઢાવવાથી કે પૂજાથી?
- મને તો એટલી ખબર છે કે, હાલમાં ઇશ્વર મારા ઉપર સોલ્લિડ પ્રસન્ન છે... ને મારી ઉપર પ્રસન્ન થવાનો હું કોઇ ચાર્જ-બાર્જ લેતો નથી.
(મોના જગદિશ સોતા, મુંબઇ)

* કંઇક અનોખું યાદ રાખવા માટે શું ભૂલી જવું જોઇએ?
- પ્રેમિકાને આઇ લવ યૂનો મૅસેજ ભૂલથી પત્નીના મોબાઈલ પર મોકલી દો.
(ચેતન રાજાણી, રાજકોટ)

* ‘ભારત રત્નનો ઈલ્કાબ એક પરિવારમાં કેટલાને આપી શકાય?
- હું તો બસ... એકથી ચલાવી લઇશ...! તમતારે આપણું નામ આગળ જવા દેજો!
(રમેશ આશર, કાલાવડ)

* સ્કૂટર પર બેઠેલ યુવક-યુવતી પતિ-પત્ની, ભાઇ-બેન કે પ્રેમીઓ છે, તેની ખબર કેવી રીતે પડે?
- તમારા વખતે કોઇને પડીતી...?
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* મનગમતી વ્યક્તિને પામવાનું અમોઘ શસ્ત્ર કયું?
- ‘શસ્ત્રનો ઉપયોગ એને હણવા માટે થાય, પામવા માટે નહિ! રહ્યો તમારો જવાબ... તો જે તમને પામી ચૂક્યું હોય, તેની સલાહ લો!
(સુમન વડુકુળ, રાજકોટ)

* માણસ અને ગધેડામાં શું ફરક?
- એનો આધાર, અત્યારે આ સવાલ તમે બેમાંથી કોને પૂછ્‌યો છે, એની ઉપર છે!
(હોસી બરડી, વલસાડ)

* પત્નીને રસોડાની રાણી કહેવાય, તો ગોરધનને શું કહેવાય?
- રસોડા-ફસોડાની રાણી તમારે ત્યાં કહેવાતી હશે... મારાથી અમારી કૂક ચંપાને રાણી કયા મોંઢે કહેવાય?
(પ્રબોધ જાની, વસાઇ-ડાભલા)

* એકતાની ફક્ત વાતોને બદલે તમામ ધર્મો એક જ હોય તો?
- ગૂડ જોક!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* કોઇ ગુજરાતી ફિલ્મમાં હજી સુધી હૅલીકૉપ્ટર કેમ જોવા મળ્યું નથી?
- એક હૅલીકૉપ્ટરના ખર્ચામાં ૨૫ ગુજરાતી ફિલ્મો બની જાય!
(રમીલા પ્રહલાદ રાવળ, રાજપીપળા)

* કસાબનું મૃત્યુ થશે ખરૂં કે નહિ?
- પાકિસ્તાનની માંઓ દુઆ માંગે છે પોતાના છોકરાઓ માટે કે, મારા દીકરાને કસાબ જેવું સુખ અને કોંગ્રેસ જેવા પિતા આપજો.
(સુનંદ હિતેશભાઇ શાહ, અમદાવાદ)

* ઘરવાળી અને બહારવાળીમાં કેટલો ફરક?
- ઉપરવાળીને ખબર!
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

* આપનું એકે ય પુસ્તક ગૂજરી-બજારમાં નથી મળતું... શું કારણ?
- એક દિવસ હું ત્યાંથી મળી આવીશ ખરો!
(વંદિત નાણાવટી, રાજકોટ)

* ફિલ્મ અભિનેતા ઓમ પુરીને ઘરડે ઘડપણ એની વાઈફ નંદિતાને છુટાછેડા આપવાનું કેમ સૂઝ્‌યું?
- મને ખ્યાલ છે, ત્યાં સુધી છુટાછેડા પોતાની જ વાઇફને આપી શકાય... અડોસ-પડોસની કે બીજા કોઇની વાઇફોને નહિ!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* મનમોહનસિંઘની જગ્યાએ તમે હો તો આટલા કૌભાંડો ચલાવી લો?
- મનમોહનસિંઘને ચલાવી લેવાનું સૌથી મોટું કૌભાંડ તો આપણે કર્યું છે!
(શાન્તિલાલ ચંદારાણા, વડોદરા)

* શહેનશાહ અકબરે એમના પુત્ર સલીમને ફાંસીની સજા આપી હતી... આજના કોઇ રાજકારણી આવું કરી શકે?
- ઓહ... સલીમને ફાંસી આપવાની હોય તો તમે ય આપી શકો... એમાં રાજકારણીઓની જરૂરત ક્યાં પડે?
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* નરેન્દ્ર મોદી, અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલા, સિઘ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા... બધા દાઢીવાળા છે... આ કોઇ રાજકીય ગોઠવણ છે કે બીજું કાંઇ?
- ‘અશોક દવે હૅર કટિંગ સલૂનનામનું કોઇ બૉર્ડ આપના જોવામાં આવ્યું છે?
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* વાંઢા અને કૂંવારા વચ્ચે શો તફાવત?
- પરણેલા અને દુઃખી જેટલો.
(રમેશ આર. સુતરીયા, મુંબઇ)

* તમને કોઇ સ્ત્રી દગો કરી જાય તો શું જવાબમાં શું કરો?
- દગો એણે કર્યો તો હું પણ દગો કરૂં, એવો એને ચાન્સ કદી ન મળે! હું કોઇને કદી ધિક્કારી શક્યો નથી.
(પાયલ પ્ર. પટેલ, સુરત)

22/02/2012

વૈષ્ણોદેવી જવાના છો ?

આપણો ભારત દેશ મહાન છે ને હજી દુનિયામાં આપણા સિવાય કોઈને ખબરે ય નથી કે, આપણે આટલા મહાન છીએ ! કઈ કમાણી ઉપર આપણે દેશને મહાન કહી દીધો છે, એની તો ખબર નથી, પણ તો ય મહાન છીએ, એટલી ખબર છે. દેશની માફક આપણે પોતે જે ધર્મ પાળતા હોઈએ, એ તો પાછો આપણા ભારત દેશથી ય વઘુ મહાન છે, બોલો ! મહાન કહી દેવામાં કશું પુરવાર કરવું પડે એમ છે કે બુદ્ધિ વાપરવી પડે છે ? પરમેશ્વરની જે ભક્તિ કરીએ છીએ, તેને શ્રદ્ધાકહેવાય કે અંધશ્રદ્ધાએવી ખબર હોય, એવો તો એક પણ ભણેલો-ગણેલો ભારતીય જોયો નથી.

બુદ્ધિને શ્રદ્ધા સાથે કોઈ સંબંધ નથી અને વાત શ્રદ્ધાની નીકળે, ત્યાં લોજીકો ઉપાડી ન લવાય, એ બધી વાત સાચી, પણ અંધશ્રદ્ધાને સાલી માફ કરી ન શકાય. પરમેશ્વર કે માતાજી આપણી કસોટી કરે અને શરીરથી માંડીને પૈસાના જોખમી દુઃખો વેઠીને પણ શ્રદ્ધા બરકરાર રાખીએ એ સમજી શકાય, પણ આપણા દેશના મંદિરોના વહિવટકર્તાઓ ય આપણા ભગવાનો હોય, એવી કઠોર પરીક્ષાઓ લીધે રાખે ને જસ્ટ... અંધશ્રદ્ધાને નામે આપણે એ બઘું સહન કરે જઇએ, એ વિષય ભક્તિનો નહિ, બેવકૂફીનો છે. વાતો મોટી કરનારાઓ તો બહુ છે કે, દરેક ઇશ્વર સમાન છે, પણ વાત ધર્મની આવે, ત્યાં હજી સુધી તો જગતનો એક પણ માણસ પેદા થયો નથી, જે પોતાનો છોડીને બીજાના ધર્મને ઊંચો ગણતો હોય. ઇશ્વરમાં માનતો ભક્ત આઘ્યાત્મિક હોઈ શકે છે, પણ ધર્મમાં માનતો કોઈપણ ચુસ્ત ભક્ત છીછરો હોય છે. આવા લોકોને તો પોતાના જ ઇશ્વર કરતા પોતાનો ધર્મ વધારે વહાલો લાગતો હોય છે. હું હિંદુ હોવાનો બેશક ગર્વ અનુભવું છું પણ મને યાદ નથી, એકે ય વખત મને મારા હિંદુ ધર્મથી બીજો કોઈ પણ ધર્મ એક દોરો ય નીચો લાગ્યો હોય... ને આવી કબુલાત કરવાથી હું કે મારો હિંદુ ધર્મ સહેજ પણ નીચો પડી જતા નથી. કોઈ પણ ધર્મ બીજા કોઈ પણ ધર્મ કરતા સહેજ પણ ઊંચો હોતો નથી ને છતાં ય ઠોકી એવું બેસાડવામાં આવ્યું છે કે, આપણે જ બેસ્ટ છીએ ને બીજા બધા લલ્લુ-પંજુ...! હું સોલ્લિડ શ્રદ્ધાવાળો શિવભક્ત છું, પણ મારા માટે મારા ભોળા શિવજી કરતા ભગવાન મહાવીર સ્વામી કે શ્રીકૃષ્ણ એક દોરો ય ઉતરતા નથી. જેટલો મારો હિંદુ ધર્મ પવિત્ર છે, એટલા જ જૈન ધર્મ કે ઇસ્લામ કે ક્રિશ્ચિઆનિટી પવિત્ર છે.

પણ આપણા કરતા બીજા તમામ ધર્મો ફાલતુ છે, એવું વિકૃત શિક્ષણ આપણા જ બની બેઠેલા મહારાજો કે ગુરૂજીઓ આપતા હોય છે, એમાં દેશ કદી એક થઈ ન શક્યો. દેરાસર ઉપર પથ્થરબાજી થઈ હોય, તો શ્રીરામજીના મંદિરવાળા, ‘આપણે શું ?...’ ને આપણું શું...?’ કહીને તમાશો જોયે રાખશે, પણ એકે ય ગરૂડો એવી શીખ નથી આપતો કે, કાલ ઉઠીને આપણા મંદિર/દેરાસર ઉપર હુમલા કરે ને બન્ને કેસોમાં બીજા ધર્મોવાળા ઊભા ઊભા જોયે રાખે...! તારી ભલી થાય ચમના... તું મરવાનો થયો છું.. મશીનગનના ધાડા ઉતરી આવશે ત્યારે એ લોકો ન્યાયપૂર્વક આપણા ભાગ પાડવા બેસી નહિ જાય કે, ‘ઓહ... આ તો જય જીનેન્દ્રવાળો છે.. આને ના મરાય...! આ અંબાજીવાળો છે... એને ઠોકો...!અહીં તો બધા ભેગા હશે તો, પેલાની મશીનગનો ઝૂંટવીને સામો વાર કરી શકશો...! શનીયું પહેરીને કે આતંકવાદીઓ ઉપર કંકુ-ચોખા ચઢાવવાથી દુશ્મનો ન ભાગે, સાહેબજી...! 

તમે કોઈપણ ઇશ્વરને માનતા હો, સંપર્ક તમારો તેની સાથે તદ્દન સીધો હોય ને...? (Direct Dialling) વચમાં પૂજારીઓ, ગુરૂઓ કે મંદિરોના ટ્રસ્ટીઓને દલાલ બનવાની ક્યાં જરૂર છે ? હું ભગવાન શંકર સાથે ઘણીવાર વાતો પર ચઢી જાઉં છું, ઘણીવાર એ મારી અને હું એમની ટાંગ ખેંચું છું, અમે ઝગડી પણ બહુ પડીએ ને પ્રેમો ય એટલા કરીએ... હઓ ! સ્વયં મેં પણ મહાદેવજીના ઘણા પ્રોબ્લેમો સોલ્વ કરી આપ્યા છે. વચમાં અમારા ઘરમંદિરમાં, અગરબત્તી એમના ફોટાને દઝાડતી હતી... બોસ બગડ્યા પણ હું ય ફક્ત તો એમનો ને ? તાબડતોબ નિકાલ કરી નાંખ્યો ! એ જ અગરબત્તી બદલીને શ્રી હનુમાનજીના ફોટા નીચે મૂકી આવ્યો. બન્ને ભગવાનો ખુશ... ! એમ પાછો હું ન્યાયી બહુ ! ભગવાનોમાં અંદરોઅંદર બબાલો ઊભી થાય, એવા પ્રોજેક્ટો હાથમાં જ નહિ લેવાના.

અમારી વાતચીતના લંબાણીયા ચગ્યા હોય, તો માતા પાર્વતીજીને પ્રણામ કરીને અમારા માટે બે હોટ કૉફીનું ય કહી દઉં... (મારામાં ખાંડ જરી ઓછી !) મૂડમાં હોય તો માતાજી કોફી સાથે ખારી બિસ્કીટ પણ મૂકે એ તો...! ભોળાનાથ બી આપણું માન બહુ રાખે. આપણે શું કે... એમને બહુ મોટા મોટા કામો નહિ સોંપવાના... એમનાથી થાય એવા કામો સોંપીએ તો બીજી વાર ના ન પાડે... આ તો એક વાત થાય છે ! એક પાર્ટીમાં મારા શર્ટનું સૌથી નીચેનું બટન તૂટી ગયું, એટલે હાલત કેવી કફોડી થઈ જાય ? તરત ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ ઘટનાસ્થળ પર જ શરૂ કરી દીધા. કાચી સેકન્ડમાં પ્રભુએ બુદ્ધિ આપી કે, આવું કાંઈ થયું હોય તો શર્ટને ઇન્સર્ટ કરી નાંખવાનું... કરી નાંખ્યું ! (ઓમ નમઃ શિવાયમારો પાસવર્ડ છે... એ નાંખું એટલે પ્રભુ સમજી જાય કે ઈ-મેઈલ અસોકડાનો લાગે છે ! અમારામાં આવું સમજવા-બમજવાનું બહુ હોય ! 

આમ તો શિવજીને કહીએ તો ના ય ન પાડે, પણ આપણે જ સમજીને એમને મોટા કામો નહિ સોંપવાના. બાથરૂમ રીનોવેટ કરવાનો ખર્ચો મોટો આવે એમ હતો.... મારા જેવા મિડલ-ક્લાસીયાઓને બાથરૂમ તો ઠીક, નળ રીપેર કરાવવાનો આવ્યો હોય તો ય પચ્ચા રૂપિયા કાઢવા માટે બબ્બે વખત કબાટો ફંફોસવા પડે, પણ આપણા મનમાં નક્કી કે, બાથરૂમ કે નળ વગર નાહીશ, પણ મહાદેવજીને સગવડ કરી આલવાની વાત નહિ કરવાની ! આને તમે એક બ્રાહ્મણનું આત્મસન્માન ગણી શકો. અમારામાં સન્માનો બહુ હોય...પૈસા નહિ ! 

આટલી આત્મકથા કહેવાનો મતલબ એટલો કે, પરમેશ્વર સાથે આપણું ડાયરેક્ટ-ડાયલિંગ હોય છે, એમાં વચેટીયાઓની જરૂર નથી હોતી. પેલા બાથરૂમવાલા કે શર્ટના બટનવાળા કિસ્સામાં શું હું અમારા મંદિરના પૂજારી કે ગુરૂજીને જઈને કહેવાનો હતો કે, ‘એક જરા.... શિવજીને અરજ કરી આલો ને કે અસોકડો બહુ તૂટી ગયો છે... નાહ્યા વગરનો રખડે છે ને વગર બટને એનું પેટ બહાર લબડતું દેખાય છે... તો જરા ભોળાનેથને કહેવડાવોને કે, એકાદું બટન આવવા દે...!’ 

કમનસીબે, આપણા દેશનો મૂરખ ભક્તોનો ભગવાન સાથેનો વહિવટ ગુરૂજીઓ, સ્વામીજીઓ, મહારાજ સાહેબો, પૂજારીઓ કે મંદિરના ટ્રસ્ટીઓ સંભાળતા હોય છે. એ લોકો બહુ સક્સેસફૂલી આપણને ઉલ્લુ બનાવી શકે છે કે, સ્વયં પરમેશ્વર કરતા ય આ ગુરૂજી-ફુરૂજી વઘુ ઊંચા છે. ડોબા ભક્તો એટલું ય સમજતા નથી કે, પૈસા વગર આ દલાલો તમારા ખભે હાથે ય મુકે એવા નથી.. (સિવાય કે, તમે સ્ત્રી હો...!) તમે કોઈપણ ધર્મના હો, એક વખત તમારા ઘરે એમની પધરામણી કરાવી જુઓ...! મફતમાં તો તમારો દારૂ ય નહિ પીએ...! એની ચઢામણી ચઢાવો તો બે ધૂંટ મારશે !

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તો જાવા દિયો, પણ જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં માતાજી કરતા ત્યાંના વહિવટકર્તાઓ જે રીતે ભક્તોને હેરાન કરે છે, એ રૂબરૂ જોઈને આવ્યા પછી હિંમત ખૂટી ગઈ છે, હવે પછી વૈષ્ણોદેવી જવા માંગતા ભક્તોને કંઈ કહેવાની ! 

પૂરજોશ ઠંડી અને ઘૂમ્મસમાં અનરાધાર વરસાદ પડતો હોય, ત્યારે બૂટ -ચપ્પલ અડધો કિ.મી બહાર જ કાઢીને દર્શન કરવા જવા દેવાની હિટલરશાહીને કારણે, બરફથી વઘુ ઠંડી લાદી પર ચાલવાનું કેવું સખત હશે ? આટલે દૂરથી ભક્તો હાંફતા-થાકતા આવ્યા હોય ને ભલભલા ધ્રૂજી પડે, એવી તાકિલ ઠંડીમાં મિનિમમ બે હજાર ભક્તોની લાઈન લાગી હોય, તેમાં રીતસર ત્રણ-સાડા ત્રણ કલાક લાઈનમાં ઠૂંઠવાતા ઊભા રહેવાનું, અંદર કોઈ મહારાજ સાવ ફાલતુ ભાષણ ઠોકે રાખે ને આરતી અઢી-ત્રણ કલાક ચાલે, એવું જગતના કોઈ મંદિરમાં સાંભળ્યું છે ? અહીં એવું લખીને વાચકોને રોવડાવવાનો કોઈ ઇરાદો નથી કે, દેશભરમાંથી પોતાના ૮-૧૦ મહિનાના બાળકને તેડીને પતિ-પત્ની ૧૬ કિ.મી. વૈષ્ણોદેવીનો પર્વત ચઢતા ચઢતા આવી ઠંડી અને વરસાદમાં આવે ને કાળ ઉઠીને બાળક માંદુ પડીને ગુજરી ગયું, તો તમે તો બીજું પેદા કરી લેશો... પણ ખુદ તમારા બાળકના જીવનું શું ? કોક ફિલ્મમાં રાજેશ ખન્ના અને શબાના આઝમી તેમના બાળકને તેડીને વૈષ્ણોદેવીની આવી જાત્રા કરતા બતાવાયા હતા.. બસ, પછી આપણે બુદ્ધિ નહિ દોડાવવાની. કોઈ માનતા માનીને આટલા કોમળ અને માસુમ બાળકને તમારી હઠને હવાલે કરી દેવાનું ! વિશ્વનો કોઈ ભગવાન કે માતાજી એવા નિષ્ઠૂર હશે કે, ‘જાવ.... તમારા ૬-મહિનાના બાળકને તેડીને મને મળવા આવો, તો જ હું તમને આશીર્વાદ આપીશ !’ 

હમણાં કાચી સેકન્ડમાં ઢળી પડશે, એવા વૃદ્ધ હાંફતા હાંફતા પડી જાય પણ ભક્તોની લાઈન એક દોરો ય આગળ ન ચાલે...! માનવામાં આવશે, ભક્તમાં ત્રેવડ હોય તો રૂા. ૧૬,૦૦૦/- આપીને વૈષ્ણોદેવીના દર્શન આગળથી કરવા મળે... ૪૫-૪૬ હજાર આપો તો ફેમિલી સાથે દર્શન...! ભક્તિને પૈસા સાથે શું લેવા-દેવા

મંદિરોનું ગર્ભગૃહ પવિત્ર અને ચોખ્ખું રહે, એ નિર્વિવાદ જરૂરી છે, પણ કડકડતી ઠંડી અને પૂરબજાર વરસાદમાં બરફ પડતો હોય ત્યારે વૈષ્ણોદેવીના ભક્તોએ આટલે દૂરથી બૂટ-ચંપલ કાઢીને જવાનું. ચામડાનો બેલ્ટ કે વોલેટ-પર્સ, કેમેરા, દવા-ફવા કંઈ જ અંદર લઈ નહિ જવાનું. ઉઘાડા પગ નીચે સરકતું બરફ જેવું ઠંડુ પાણી અને માઈલો સુધી લાગેલી ભક્તોની લાઈનમાં બચ્ચા-બુઢા કે બિમારો શામેલ, જેમનું જે કાંઈ થવું હોય તે થાય... અંદર આરતી ચાલુ ! 

માત્ર વૈષ્ણોદેવી જ શું કામ ! હિન્દુઓના મંદિરોમાં ભગવાન કરતા ટ્રસ્ટીઓ વધારે કસોટી કરે છે ને શ્રદ્ધાને નામે કોઈ મોઢું ય ખોલી શકતું નથી. કોઈ લૉજીક ખરું એ વાતમાં કે, ભગવાનોને વળી બપોરે આરામનો ટાઈમ શેનો હોય ? મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કેવી રીતે ને શેના માટે રાખવાના હોય ? ઇશ્વરના દ્વાર તો ૨૪-કલાક ખુલ્લા હોય. ભક્ત બહાર રિબાતો હોય ત્યારે દુનિયાભરના કોઈ ભગવાન એવું કહે ખરો કે, હમણાં બે કલાક હુઈ જવા દે, બાપા... પછી આવજે...!

મહેનતકશ ગરીબ (ભિખારી નહિ !) ખાઈ ન શકે ને આ લોકો અબજો રૂપિયાના પ્રસાદના નામે દેશનું કેટલું અનાજ કે મીઠાઈઓ વેડફી નાંખે છે ? કોઈ પૂછે ય ખરું કે, તમે ધરાવેલો પ્રસાદ પછી જાય છે ક્યાં ? એ ખાય છે કોણ ? મારું હાલે તો, મંદિર/દેરાસરોમાં પ્રસાદ ધરાવનારાઓને હન્ટરો વડે ફટકારવાના હુકમો છોડું. કમ-સે-કમ તમારો ધર્મ એ તો શીખવાડતો હશે ને કે, કમાયેલા પૈસા સારા કામોમાં વાપરો...! ભિખારીઓ કે ગાય-કૂતરાંને ખવડાવી દેવું પડે એ કયું દાન થયું ? ખુદ આપણે ફેમિલી માટે મીઠાઈ લાવવી હોય તો પાંચસો રૂપિયે કિલો મીઠાઈ પોસાતી પણ નથી...!

બૂટ-ચપ્પલ મંદિરની બહાર જ ઉતારવા જોઈએ, એ જરૂરી છે, જેથી અંદર ચોખ્ખાઈ રહે, પણ એને સાચવવાની જવાબદારી પણ મંદિરોની હોવી જોઈએ ને

શ્રદ્ધા છે એટલે માતાજી કે ભગવાનોએ આપણી જેટલી કસોટી કરવી હોય, એ કરે પણ કરોડો રૂપિયા આપણી પાસેથી કમાઈને આપણી જ કસોટી મંદિરનોના વહિવટકર્તાઓ કરે એ પોસાય ...?

જવાબ તમારી શ્રદ્ધા અને સમજ ઉપર છે...!

સિક્સર
 લગ્નોના ડિનરમાં હવે રૂ. બેઅઢી હજારની થાળી તો ભિખારીઓ રાખતા થઇ ગયા છે... કહે છે કે, હવે પછીના લગ્નોમાં જમ્યા પછી ધાણાની દાળ પણ અપાશે....! એક ફાફડો ! ૫,૦૦૦/વાળો...!