Search This Blog

20/01/2017

'બહુરાની' ('૬૩)

ફિલ્મ : 'બહુરાની' ('૬૩)
નિર્માતા : મીના પિક્ચર્સ-મદ્રાસ
દિગ્દર્શક : ટી.પ્રકાશરાવ
સંગીત : સી. રામચંદ્ર
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૩૨-મિનિટ્સ  :  ૧૫ - રીલ્સ
થીયેટર : નૉવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : માલા સિન્હા, ગુરૂદત્ત, ફિરોઝ ખાન, નઝીર હુસેન, લલિતા પવાર, પ્રોતિમાદેવી, આગા, મનોરમા, રણધીર, શિવરાજ, નઝીર કાશ્મિરી, મુકરી, રાધેશ્યામ ગોપીકૃષ્ણ, બદ્રીપ્રસાદ અને શ્યામા.
ગીતો
૧....ઈતલ કે ઘર મેં તીતલ, બાહલ અચ્છા કે ભીતલ....હેમંત કુમાર
૨....મૈં જાગું સારી રૈન, સજન તુમ સો જાઓ....લતા મંગેશકર
૩....બલમા અનાડી મનભાયે, કા કરૂં સમઝ ન આયે....લતા મંગેશકર
૪....ઉમ્ર હુઇ તુમસે પહેલી બાર મિલે હમ, લતા-હેમંત કુમાર
૫....યે હુસ્ન મેરા, યે ઇશ્ક તેરા, રંગીન તો હૈ  આશા ભોંસલે
૬....બને ઐસા સમાજ, મિલે સબ કો અનાજ, લતા, આશા, મન્ના ડે
૭....કામક્રોધ ઔર લોભ કા મારા જગત ન આયા રાસ...મહેન્દ્ર કપૂર

આપણને જવાબ ન આવડે, એવા ૫-૬ પ્રશ્નો ઊભા થાય છે, ફિલ્મ 'બહુરાની' જોઇને...! એક તો, સંગીતકાર સી. રામચંદ્ર અને લતા મંગેશકર વચ્ચે 'કોઇ પણ પ્રકારના' સંબંધો પૂરા તો ઇ.સ. ૧૯૫૯માં ફિલ્મ 'પૈગામ'ના મરાઠા મંદિર (મુંબઈ)માં યોજાયેલા પ્રીમિયર વખતે જ, જ્યારે સી.રામચંદ્રની પત્નીએ બધા મહેમાનોની વચ્ચે પતિદેવનો ઉગ્ર ઉધડો લઇ લીધો હતો. કોઇ સાક્ષી ન મળે, એટલે અન્નાના પત્નીએ લતા સાથે કેવો વ્યવહાર કર્યો હતો, એ અહીં કહી શકાતું નથી. પ્રોબ્લેમ એ વાતે ઊભો થાય છે કે, આ ઘટના તો '૫૯માં બની અને લતા-અન્ના વચ્ચે બોલવાના ય સંબંધો નહોતા, તો પછી આજની આ ફિલ્મ તો ૧૯૬૩માં બની હતી, એમાં લતાના ગીતો ક્યાંથી આવ્યા?

યે પૉઇન્ટ ભી નૉટ કિયા જાય, મી લૉર્ડ કે, કવિ પ્રદીપજીએ લખેલા અને સી. રામચંદ્ર સ્વરાંકન કરેલા દેશભક્તિના લતાએ ગાયેલા ગીત 'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...' અન્નાએ મૂળ તો આશા ભોંસલેને સોંપેલું હતું, પણ આ ગીત નેહરૂની હાજરીમાં ગવાવાનું છે અને ધૂન જ કહી આપે છે કે, મૂલ્કમશહૂર થવાનું છે, એટલે લતાએ ગમેતેવા કાવાદાવા કરીને આશાનો કાંટો કઢાવી નાંખ્યો. એક તબક્કે તો સોલ્યુશન એવું ય નીકળ્યું કે યુગલગીત તરીકે બન્ને બહેનો આ ગીત ગાય, પણ એમાં ય લતાનો વેપારધંધો કામે લાગી ગયો... લતાની સાથે આશાની મુંબઈથી દિલ્હી ફ્લાઇટની કઢાવેલી ટિકીટ આશાએ સ્વમાન ખાતર કૅન્સલ કરાવવી પડી !

ઊંચો થઇ જવાય એવો બીજો મુદ્દો એ ય નીકળ્યો કે, સી.રામચંદ્ર સાથે ગીતકારમાં બહુ બહુ તો રાજીન્દર કિશન હોય કે બીજો કોઇ પણ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ હોય...સાહિર લુધિયાનવી ક્યાંથી આવ્યો ?

એક કારણ ચોક્કસ મળે છે કે, સી.રામચંદ્ર કદી લખેલા ગીત વગર ધૂનો બનાવતા નહોતા (હાથમાં લખેલું તૈયાર ગીત જોઇએ જ!) ને સામે સાહિર સંગીતકાર બનાવીને આપે, એ ધૂન પર કદી ગીત નહોતા લખતા !

ત્રીજું, '૪૦ના જમાનામાં શાંતા આપ્ટે અને સ્નેહપ્રભા પ્રધાન જેવી હીરોઇનો ઉપર એવી ફિલ્મો બનતી, જેમાં સંસ્કારી ઘરની 'બહુએના નાલાયક દિયરને સીધો કરીને પોતાના અર્ધપાગલ પતિને બુદ્ધિમાન કરીને એના હક્કો પાછા અપાવે છે. આ અને આવી થીમ-લાઇનો ઉપર હિંદીમાં અઢ્ળક ફિલ્મો બની, એમાંની એક આ 'બહુરાની'.

છેલ્લો સવાલ ઊભો કરવો હોય તો એ પણ થાય કે, આટલો ડૅશિંગ-હીરો હોવા છતાં ફિરોઝ ખાન કાયમ કેમ ઍન્ટી-હીરો અથવા વિલન જેવા જ રોલ કરતો હતો ? ચેક શર્મીલા-રાજેશ ખન્નાની ફિલ્મ 'સફર' સુધી એ સિલસીલો ચાલુ રહ્યો. કારણ કદાચ એ હોય કે, વચ્ચેના ગાળામાં એને જે ફિલ્મો મળતી, એ હોમી વાડિયાની મારધાડ અને જાદુનગરીની સ્ટન્ટ ફિલ્મો જ હતી. સોશિયલમાં એ કદી જામ્યો જ નહિ. અણધાર્યું, એણે બનાવેલું 'અપરાધ' સૉલ્લિડ હિટ ગયું અને એના ચાળે ચઢીને કુરબાની' બનાવ્યું તો એ તો આખા વર્ષની સર્વોત્તમ ફિલ્મ સાબિત થઇ. પછી તો સુલેમાન કોઇને છોડે ? છેલ્લે એ ધરખમ-ધરખમ ફૅઇલ ગયો ને લગભગ બર્બાદ થઇ ગયો ત્યાં સુધી ફિલ્મો બનાવી., એના હૅન્ડસમ છોકરા ફરદીનને હીરો બનાવવાની ભૂલ કરીને !

માલા સિન્હા માટે આવી ફિલ્મનો આવો ભાવનાત્મક રોલ નવો હતો નહતો. આ એક માત્ર ખૂબસુરત અભિનેત્રી છે જે હજી સુધી (જાન્યુઆરી, ૨૦૧૭ સુધી) ઘણી સુંદર દેખાય છે - કરમાઇ ગઇ નથી, જેમ વહિદા રહેમાન, સાધના, આશા પારેખ, વૈજ્યંતિમાલા કે નિમ્મીઓ કરમાઇને બેઠી રહી. એક માત્ર આપણી વહાલી-વહાલી નંદાએ મૃત્યુ સુધી પોતાના ચહેરાનું લસ્ટર કે લાલિમા ગુમાવી નહોતી. માલાને ય તાજી તાજી 'યૂ-ટયૂબ'માં જુઓ તો શરીર માટેની એની કાળજી ઉપર આપણને માન થાય એવું છે કે, આપણા ઘેરે ય આમાંનું થોડું ધ્યાન રખાયું હોત, તો આજે રોજ ચોક્કસ સમયે મંદિરે જતા હોઇએ છીએ, એ ન જતા હોત...! સુઉં કિયો છો ?

બંગાળી નવલકથાકાર મણીલાલ બૅનર્જી લિખિત 'સ્વયંસિદ્ધા' ઉપરથી હિંદીમાં ય ઘણી બની, એમાંની બીજી તો મીના કુમારીવાળી 'અર્ધાંગિની' ય ખરી ! એક સાવ ગરીબ ઘરની વિધૂર વૈદ્ય પિતાની દીકરી માલા સિન્હા ગામમાં માતેલા સાંઢને પોતાના વ્યક્તિત્વના જોરે કાબૂમાં લઇ લે છે, એ જોઇને ગામના જમીનદાર બારે માસ રોતડા નઝીર હુસેનની નજર ઠરે છે અને પોતાની પહેલી પત્ની (લલિતા પવાર)ના પુત્ર ફિરોઝ ખાન સાથે લગ્નનું નક્કી કરી આવે છે, પણ લલિતાબાઇ ગુસ્સે થઇને વરને ખખડાવી નાંખે છે અને મોટાને બદલે નાનો પણ અર્ધપાગલ દીકરો (ગુરૂદત્ત) સાથે પરણાવી દે છે. ફિરોજ અને લલિતા જમીનદારી પડાવી લેવા કાવાદાવા કરે છે, જેમાં ફિરોઝની તવાયફ પ્રેમિકા શ્યામા, તેનો ભાઇ આગા અને મા મનોરમાનો સાથ મળે છે.

કાયમ હાથમાં હન્ટર લઇને ફરતા ફિરોઝને એક દિવસ હન્ટરનો ઉપયોગ કરવાની તક મળે ચે અને ગુરૂદત્તને પિટે છે, એ જોઇને ઉકળી ઉઠેલી માલા સિન્હા ફિરોઝને સોટીએ ફટકારે છે. રોતડ બાપ નઝીર હુસેન ખુશ થાય છે પણ એના અવસાન પછી સઘળી મિલકત ગુરૂદત્તને નામ કરી દેવા છતાં ગુરૂ બધી મિલ્કત ફિરોઝને નામે કરીને પત્ની સાથે ઝૂંપડીમાં રહેવા જતો રહે છે. ત્યાં પણ એને મારવા આવેલા ફિરોઝનો સામનો કરવા છતાં હારી ગયેલા ફિરોઝને માફ કરી ગુરૂદત્ત ફિલ્મનો સુખદ અંત લાવે છે.

ગામ આખું જાણે છે કે, સાહિર લુધિયાનવી મારા માટે નંબર વન ગીતકાર છે. બીજા નંબરે શકીલ બદાયુની પછી ત્રીજા નંબર માટે લડવાડો બહુ થાય એમ છે, માટે આપણે એમાં પડવું નહિ. સાહિર-શકીલ માટે એમના શબ્દવૈભવ ઉપરાંત શાયર તરીકે એમની સજ્જતા અને મૅચ્યોરિટી માટે પણ ગૌરવ થાય એમ છે. સાવ સીધો હિસાબ છે.

એક ગીતકાર કે શાયર તરીકે તમે ન હિંદુ છો, ન મુસલમાન. તમે કેવળ ભારતીય છો. સાહિરને આ વાત સોલહ આને સચ પડતી હતી. આ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર પાસે ગવડાવેલું, 'જબ જબ રામ ને જન્મ લિયા, તબ તબ પાયા બનવાસ...' કોઇ મઝહબના પાયા વિના લખાયેલું ગીત છે ને ? સાહિરે (મોટો દાખલો ફિલ્મ 'નીલકમલ') આવા તો સેંકડો ગીતો લખ્યા છે. 'જો ધ્યાયે ફલ પાવે, સુખ લાવે તેરો નામ...'

અને હવે બીજા શાયરોને યાદ કરો... ઈવન હિંદુ ગીતકાર રાજીન્દર કિશનને ! ફિલ્મ આખી હિંદુ બૅકગ્રાઉન્ડની હોય, ફિલ્મમાં હીરો-હીરોઇન ક્યાંય ઉર્દૂ-માધ્યમની શાળામાં ભણી આવ્યા હોય એવું બતાવ્યું ન હોય, છતાં, 'ખુદા ભી આસમાં સે જબ ઝમીં પર દેખતા હોગા...' ક્યાંથી આવ્યું ' 'સુભાન અલ્લાહ હો, હંસિ ચેહરા હો...' આખી ફિલ્મમાં શમ્મી કપૂરે મુસ્લિમ-ધર્મ અંગીકાર કર્યો હોય કે ઉર્દુ-સ્કૂલમાં ભણવા ગયો હોય, એવું બતાવ્યું નથી, તો 'સુભાન અલ્લાહ'ને બદલે 'જયશ્રી કૃષ્ણ' કેમ નહિ ?

ભારતના તમામ મુસલમાનોએ તો મુસ્લિમ શાયરોનો આભાર માનવો જોઇએ કે, ન છુટકે જ્યાં ઇશ્વરનો ઉલ્લેખ કરવાની નૌબત આવી ત્યાં, 'ઉપરવાલે' કે 'ઓ આસમાંવાલે' લખી દીધું. 'તારિફ કરૂં ક્યા ઉસકી જીસને તુમ્હેં બનાયા...' વાહ. આમાં કોઇને ખોટું જ ન લાગે. બધા ધર્મો આવી ગયા... હીરો સર્વધર્મસમાનાર્થી હતો, તે...!

શકીલ બદાયૂની ચોક્કસપણે મઝહબી પાક મુસલમાન ફરિશ્તો હતો, પણ ગીતોમાં વાત જ્યાં હિંદુ કલ્ચરની આવે, ત્યારે 'જયશિવશંકર જય કરતાર, લીલા તેરી અપરંપાર' શબ્દો જ લખ્યા છે.

ધૂન બનાવતા પહેલા શબ્દો લખાવી લેવાના ઝીદ્દી અન્ના (સંગીતકાર શંકરના મતે, અનિલ બિશ્વાસની જેમ એક માત્ર ઓરિજીનલ સંગીતકાર હતા... આને માટે પરમેશ્વર શંકરને માફ કરે!) જો ખરેખર આટલા સર્જક સંગીતકાર હતા તો પછી તદ્દન ધૂળ ભેગા થઇ ગયા, ત્યાં સુધીની હદે ફૅઇલ કેમ ગયા ? કોઇ નહિ ને 'રૂઠા ના કરો'ના સંગીતમાં મુહમ્મદ રફી પાસે તદ્દન કચરાછાપ ઉઠાંતરીવાળું, 'આપકા ચેહરા, માશાઅલ્લાહ, ઝૂલ્ફ કા પહેરા, સુભાનઅલ્લાહ...' કેમ ગવડાવ્યું ? મોટો સવાલ તો અન્નાની ઈન્ટેગ્રિટી ઉપર થાય છે કે, એક લતા મંગેશકરને બાદ કરતા આખા જગતમાં બીજું કોઇ ગાયક જ નહોતું ? પુરૂષ-ગાયકોને તો અન્ના ભાજીમૂળા જ સમજતા હતા ને ન છુટકે તલદ મેહમુદ પાસે ક્યારેક ગવડાવી લેતા અને એ ય વળી પોતાનું ગળું ઠીક ન લાગે ત્યારે !

ચીતલકર રામચંદ્રની સરિયામ નિષ્ફળતાનું એકમાત્ર કારણ એમની લતાપરસ્તી હતી. આશાને ન છુટકે જ બોલાવવી અને રફી, મુકેશ કે કિશોરને તો ન છુટકે જ બોલાવવાના ! એમને બદલે પોતે ગાઇ નાંખેલા ગાયનો એવા ક્યાં જામ્યા હતા ? કબુલ કે, લતા પાસે અન્નાએ કર્ણમધુરૂં કામ લીધું હતું, પણ એ તો એમના જમાનાના તમામ સંગીતકારોએ લતા પાસેથી તો સુંદરકાંડ ગવડાવવા સરીખું મધુરૂં કામ જ લીધું હતું. લતાએ કોઇને માટે ક્યાં બે આની ઓછું ગાયું હતું ? એમને એટલો અણસાર ન આવ્યો કે, હું આટલો લતાપરસ્ત છું તો કોક 'દિ લતા મને પાછળના ભાગ ઉપર લાત મારીને કાઢી મૂકશે તો હું ક્યાંયનો નહિ રહું!
...
અને એવું તો થયું !

આનંદ બસ, એક વાતનો થયો કે, એ જમાનાની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો જોવી, એટલે પુખ્તી મર્દાનગી જોઇએ, નહિ તો અધવચ્ચે થાકી જાઓ. એ હિસાબે લાગણીશીલ વાર્તા, મનોહર દિગ્દર્શન અને માલા સિન્હાના કારણે ફિલ્મ જોવાનો આનંદ આવ્યો... એમ મૅચ્યૉર ફિલ્મ જોવાનો આનંદ !

1 comment:

Rohit Vanparia said...

સરસ લેખ.
આ જ સ્ટોરીવાળી ફિલ્મ 'જ્યોતિ' (1981) ડાયરેક્ટર પ્રમોદ ચક્રવતીની આવી હતી.
હેમામાલિની, જિતેન્દ્ર, વિજેન્દ્ર ઘાટગે અને અશોક્કુમારની.